હિંમતનગર તાલુકાના કાંણીયોલ ગામે બુધવારે રાત્રે રોડ પર બાઈક લઈને જઈ રહેલા એક ઈસમની આગળ અન્ય એક ઈસમ તેમની કાર રીવર્સ લઈ રહ્યા હોવાથી આ બાઈક ચાલક ઉભા રહ્યા હતા જેમાંથી વાતનું વતેસર થતા રાત્રે ગામમાં ધિગાણું થયું હતું. જેથી તરતજ હિંમતનગર ગ્રામ્ય પોલીસે આવીને પરિસ્થિતી પારખી જઈ મામલો થાળે પાડવાના આશયથી ટીયરગેસના ત્રણ સેલ છોડ્યા હતા તો બીજી તરફ પટેલો અને રાજપુતો વચ્ચે થયેલી મારામારીમાં પાંચ જણાને ઈજા થતા સારવાર માટે તૈમને તાબડતોબ હિંમતનગર સીવીલમાં લવાયા હતા. ત્યારબાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસે ખણુસા, ડેમાઈ અને ગાંઠીયોલ તથા ઘોરવાડાના મળી દસ જણા સહીત ૪૦ થી વધુ માણસોના ટોળાં વિરૂધ્ધ ફરીયાદ નોંધાવાઈ હતી. આ અંગે કાણીયોલ ગામે રહેતા ભીખાભાઈ બબાભાઈ પટેલે નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ બુધવારે રાત્રે ગામમાં બાબુભાઈ દેવચંદભાઈ પટેલના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેઓ બાઈક લઈને નીકળ્યા હતા દરમ્યાન ખણુસા ગામના અર્જુનસિંહ કિશોરસિંહ રહેવર તેમની કાર રોડ વચ્ચે હોવાથી તેને રિવર્સ લેતા હતા જેથી ભિખાભાઈ બાઈક લઈને ઉભા રહી કહ્યું હતુ કે મારી સામે જોયા વગર તમારી કાર સાઈડમાં લઈ લો તેમ કહી ભિખાભાઈ જતા રહ્યા હતા. તો બીજી તરફ અર્જુનસિંહએ ભિખાભાઈને ફોન કરી ગામના ઝાંપે બોલાવતા તેઓ તથા હરેશભાઈ વિનુભાઈ પટેલ ઝાંપે ગયા હતા. જ્યાં અર્જુનસિંહ ન દેખાતા તેમને ફોન કર્યો હતો. ત્યારબાદ અર્જુનસિંહ રહેવર, વીરેન્દ્રસિંહ જસવંતસિંહ રહેવર અને જીતેન્દ્રસિંહ સરદારસિંહ રહેવર આવી પહોંચ્યા હતા. જ્યાં કાર રીવર્સ લેવા બાબતે કહેલા શબ્દોથી ખોટુ લાગતા વિરેન્દ્રસિંહ રહેવરે ગાળો બોલવાનું શરૂ કર્યું હતુ. તે જ સમયે કકુસિંહ સવનાથસિંહ રહેવર લાકડી લઈ આવી ગાળો બોલવાનું શરૂ કરતા પટેલ મહોલ્લામાંથી અન્ય લોકો દોડી આવ્યા હતા . જ્યા જપાજપી થતા મામલો ગરમાયો હતો. દરમ્યાન રવિકુમાર વસંતભાઈ પટેલ આવી જતા તેમણે પણ ગાળો બોલવાનું ના પાડતા મામલો ગરમાયો હતો. જોકે આ વખતે હરેશભાઈ વિનુભાઈ પટેલ, પ્રવિણભાઈ રામાભાઈ પટેલ તથા કિરણભાઈ અમૃતભાઈ પટેલે આવીને સમજાવટ કરી હતી. તેમ છતાં ગાંઠીયોલના સત્યજીતસિંહ લાલસિંહ જેતાવત, ઘોરવાડાના મદનસિંહ રહેવર નાની ડેમાઈના ફાળસિંહ ભિખુસિંહ રહેવરે હાથમાં ધોકા લઈ આવી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું દરમ્યાન આ વખતે રવિભાઈ તેમના ઘરે ઉભા હતા ત્યારે સત્યજીતસિંહ જેતાવતે રવિને લાફો મારી દીધો હતો. જેથી વસંતભાઈ વચ્ચે પડતા મનહરસિંહએ લોખંડના પંચથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ગામમાં એકાએક શરૂ થયેલી કિકિયારીઓ તથા ચોરબકરોને કારણે લોકો ભેગા થઈ ગયા હતા. આ વખતે તિશભાઈ બહેચરભાઈ પટેલને પણ અર્જુનસિંહના ભાણા સત્યજીતસિંહ જેતાવતે માથામાં ધારીયું માર્યું હતુ. કકુસિંહ રહેવરે અશોકભાઈ દેવકરણભાઈ પટેલને માથામાં કુહાડી ઝીકી દીધી હતી . જેથી તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા તથા જીતેન્દ્રસિંહ રહેવરે વિશાલભાઈ ભિખાભાઈ પટેલને માથામાં લાકડી મારતા તેઓ ગવાયા હતા. ત્યારબાદ ૪૦ થી ૫૦ માપસોનું ટોળું ભેગુ થયુ હતુ. જેમાં રાજપાલસિંહ બનેસિહં રહેવર, અમીતસિંહ વખતસિંહ રહેવર અને અને સંજયસિહ નરેન્દ્રસિંહ રહેવર ટોળામાં સામેલ હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.