પાલનપુર રેલવે સ્ટેશને બ્રાન્દ્રા- ચંડીગઢ ટ્રેનમાં મુસાફરો સાથે થયેલી લૂંટ કેસમાં નવો વળાંક આવ્યો છે. પાલનપુર રેલવે પોલીસ લૂંટ થયાનો ઇન્કાર કરતા ચીલઝડપ થઇ હોવાનું જણાવી રહી છે. પોલીસનું માનીએ તો, ચાલુ ટ્રેને બહારથી અજાણ્યા શખ્સોએ બારીમાં હાથ નાંખી એક મુસાફરના ગળામાંથી સોનાની ચેઇન તેમજ બે મહિલાઓના પાકીટ ચોરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે પાલનપુર રેલવે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ચોરીનો ગૂનો નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બાંદ્રા- ચંડીગઢ ટ્રેન પાલનપુર રેલવે સ્ટેશને આવી હતી. જ્યાંથી આબુરોડ તરફ ઉપડી ત્યારે ચાલુ ટ્રેને અજાણ્યા શખ્સોએ બારી પાસે બેઠેલા મુળ હરિયાણાના નાગનોર ગામના અને વર્તમાન સમયે મુંબઇ ખાતે રહેતા શાંતિલાલ ગણપતરામ દાયમાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લીધી હતી. આ ઉપરાંત બે મહિલા મુસાફરોના મોબાઇલ ફોન, ચાર્જર, રોકડા રૂપિયા 12,000, ચાંદીની દસ ગ્રામનો સિક્કો, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, એટીએમ કાર્ડ ભરેલા બે પર્સની પણ ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરો કુલ રૂપિયા 72,000નો મુદ્દામાલ ચોરીને નાસી છુટ્યા હતા. આ અંગે શાંતિલાલ દાયમાએ પાલનપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગૂનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.