ધાનેરા : કોંગ્રેસ શાસિત ધાનેરા નગર પાલિકામાં યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મેન્ડેટ મેળવનારા યુસુફખાન બેલીમની ૧૭ મતો અને ભાજપનું મેન્ડેટ મેળવનાર જબરાજી રાજપૂતને ૧૧ મતો મળતા બહુમતી સાથે યુસુફખાન બેલીમ વિજેતા થયા હતા.
ધાનેરા નગરપાલિકા બીજી ટર્મના પ્રમુખ માટે પાલિકા કચેરી ખાતે સવારે ૧૧ કલાકે મળેલી પાલિકાની ખાસ સાધારણ સભામાં ધાનેરાના પ્રાંત અધિકારી એમ.ટી.ઠાકોરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં શાસક પક્ષ કોંગ્રેસે વોર્ડ નંબર ચારના મુસ્લિમ સદસ્ય યુશુફખાન બેલીમને જ્યારે ભાજપે જબ્બરસિંહ રાજપૂતને પ્રમુખ પદ માટે મેદાનમાં ઉતાર્યા હતા. દરમ્યાન, મતદાન પ્રક્રિયા હાથ ધરાતાં કોંગ્રેસના ૧૭ સભ્યોએ યુસુફખાનની તરફેણમાં જ્યારે ભાજપના ૧૧ સભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મત આપતા ધાનેરાના પ્રાંત અધિકારી મોતીજી ઠાકોરે યુસુફખાન બેલીમને છ મતની સરસાઈથી પ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતા.ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં કુલ ૨૦ હજાર મતદારોમાં મુસ્લિમ સમાજના માત્ર બે હજાર જેટલા મતદારો છે છતાં કોંગ્રેસ પક્ષે આ વખતે પાલિકાનું સુકાન મુસ્લિમ સમાજના યુવા સદસ્યને સોંપતા કોંગ્રેસ કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આજે નવા પ્રમુખને વધાવી લીધા હતા. નવા ચૂંટાયેલા પ્રમુખે પણ નગરના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.