સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખુદ ભારતિય કિસાન સંઘે સરકાર સામે મોરચો માંડ્યો છે. કિસાન સંઘે ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલાય તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને નુકસાન સહન કરવાનો વારો આવશે તેવી ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લા માં ખુદ ભારતીય કિસાન સંઘ ખેડૂતોની વ્હારે ચડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં વીજ બિલ માફીના નામે રૂ.૬૨૫ કરોડનું જાહેર કરેલું પેકેજ પ્રામાણિક ખેડૂતોને અન્યાયકારક હોવાનું કિસાન સંઘે જણાવ્યું હતું. આ ઉપરાંત મગફળી ખરીદીના નાણાં સમયસર ચૂકવવા, કેનાલમાં છાશવારે પડતા ગાબડાં, જમીન રી-સર્વે અને જીએસટી જેવા મુદ્દાઓને લઈને કિસાન સંઘે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. ભારતીય કિસાન સંઘે ખેડૂતોની સમસ્યાઓનો તાત્કાલિક હલ કરવાની માંગ કરી છે. અન્યથા આવનારી લોકસભા ચૂંટણીમાં સરકારને મોટું નુકશાન ભોગવવાનો વારો આવશે તેવી ચિમકી પણ ભારતીય કિસાનસંઘે ઉચ્ચારી હતી. આ પ્રસંગે કિસાન સંઘના અગ્રણી ભીખાભાઇ ભૂટકા, મેઘરાજભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.