રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી દેવામા આવી છે. જેમાં ટેકાના ભાવ અને ખાસ તો ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ છે. 1 નવેમ્બર સુધીનો સમય ખેડૂતોએ સરકારને આપ્યો હતો પરંતુ સરકારે હજુ સુધી કોઇ વળતો જવાબ ન આપતા આજથી હડતાળ પાડવામાં આવી છે.
ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રભરના યાર્ડો ગુરૂવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડતા પૂર્વે મોટાભાગના માર્કેટ યાર્ડોમાં આજથી આવકો બંધ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઇ પટેલ જન્મ જયંતીના કારણે અમુક યાર્ડો તો આજથી જ બંધ થઇ ગયા છે. જ્યારે રાજકોટ યાર્ડ આજથી એટલે કે ગુરૂવારથી હડતાળમાં જોડાશે. રાજકોટ માર્કેટ યાર્ડના પ્રમુખ ડી.કે. સખિયાએ જણાવ્યું હતું કે કમિશન એજન્ટ વેપારીઓ દ્વારા ભાવાંતર મુદ્દે યાર્ડમાં આજથી જાહેરાત કરવામાં આવી છે. ભાવાંતર યોજનાની માગણી અને તેનો અમલ એટલો ઝડપી શક્ય નથી. તેના માટે આખી સિસ્ટમ બનાવવી પડે. વાસ્તવમાં ખેડૂતોને નામે વેપારીઓ તેમના કમિશનની આવક બંધ થાય છે તેનું કારણ છે. હડતાળ પણ વધુ દિવસો નહીં ચાલે. હડતાળને કારણે ખેડૂતોને કે પાકને કોઇ નુકસાન થાય એવું લાગતું નથી. સરકારની ટેકાની ખરીદી સહિત યોજનાઓમાં થયેલા કૌભાંડો અને પોલીસમાં પહોંચેલા મામલા પછી ખેડૂતોના હિતમાં તાત્કાલીક અસરથી ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓ મેદાનમાં આવ્યા છે. ત્યારે આ યોજના લાગુ પાડવા માટે કરેલી માંગનું નિરાકરણ ન આવતા આખરે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશને આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે અને ખેડૂતોના હિતમાં ગુરૂવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 26 માર્કેટિંગ યાર્ડોમાં અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરાઈ છે.
રાજકોટ યાર્ડમાં 1 નવેમ્બર એટલે કે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની નોંધણી શરૂ કરવામાં આવી છે. એક બાજુ ભાવાંતર યોજના સરકાર દ્વારા લાગુ નહીં કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વેપારી એસોસિએશન દ્વારા હડતાળની ચિમકી ઉચ્ચારી છે, બીજી બાજુ સરકાર ખેડૂતોની ખરીદી માટે નોંધણી શરૂ કરાશે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સરકાર નોંધણી કરશે. 15 નવેમ્બરથી સરકાર મગફળીની ખરીદી શરૂ કરશે. ખરીદીમાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે નવા નિયમો બનાવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી 1 લાખ 10 હજાર મેટ્રીક ટન સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે.