કેન્દ્રની મોદી સરકાર ગરીબો માટે વધુ એક રાહત કરવા જઈ રહી છે. નેશનલ ફુડ સિકયુરીટી એકટ હેઠળ લાભ લેતા લોકોને માસિક રેશનમાં મળતી ખાંડના જથ્થામાં ૧ કિલોનો વધારો કરવા જઈ રહી છે. એટલુ જ નહિ હળવા ટેકાના ભાવને કારણે અન્ન ભંડારોમાં પડેલા જંગી જથ્થાનો નિકાલ કરવા માટે રાહત દરે વધુ અનાજ આપવાના નિર્ણયની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. આવતા દિવસોમાં કેન્દ્રીય કેબીનેટ નેશનલ ફુડ સિકયુરીટીના લાભાર્થીઓને માસિક ધોરણે અપાતા અનાજના જથ્થામાં ૨ કિલોનો વધારો જાહેર કરે તેવી શકયતા છે. આના કારણે માસિક કવોટા વધીને ૭ કિલો થઈ જશે. અત્રે નોંધનીય છે કે હાલ ૨.૪ કરોડ અંત્યોદય પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે ખાંડ મળે છે. કામચલાઉ ધોરણે ૮૧ કરોડ વ્યકિતગત લોકોને આવતા દિવસોમાં વધુ ઘઉં અને ચોખા પ્રાપ્ત થશે. હાલ લગભગ ૧૯ કરોડ પરિવારો પોતાના ખાંડના ક્વોટાને ઉપાડી શકે છે. નેશનલ ફુડ સિકયુરીટી એકટ હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને માસિક પાંચ કિલો અનાજ આપવામાં આવે છે. જેમાં ૨ કિલો ઘઉં અને ૩ રૂપિયે કિલો ચોખા આપવામાં આવે છે. તમામ પરિવારો કે જેઓ અંત્યોદય અન્ન યોજના હેઠળ આવેલ છે તેઓને મહિને ૩૫ કિલો અનાજ મળવા પાત્ર થાય છે. ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાને ૧ લાખ ટન ઘઉંના જથ્થાને સાચવવા માટે રૂા.૨૯ કરોડનો ખર્ચ કરવો પડે છે. જ્યારે ચોખા સાચવવા માટે રૂા. ૪૧ કરોડનો ખર્ચ કરવો પડે છે. એક અંદાજ મુજબ ફુડ કોર્પોરેશનનું આ પ્રકારનું વાર્ષિક બીલ રૂા. ૨૬૦૦૦ કરોડ થવા જાય છે. ગરીબ લોકોને ૬ મહિના માટે વધારાનું અનાજ આપવામાં આવે તો સરકાર ઉપર વધારાનો ૫૦,૦૦૦ કરોડનો સબસીડીનો બોજો આવે પરંતુ ફુડ કોર્પોરેશનને ચૂકવવા પડતા બીલમાં ઘટાડો થઈ શકે તેમ છે. એવુ પણ નોંધવામાં આવ્યુ છે કે, રૂા. ૧૩.૫૦ની કિલો ખાંડ આપવાથી સરકાર ઉપર રૂા. ૪૭૦૦ કરોડનો વાર્ષિક બોજો પડી શકે તેમ છે. હાલ અન્ન ભંડારોમાં અન્ન છલકાઈ રહ્યુ છે. જુલાઈ શરૂ થતા જ બફર માટે જરૂરીયાત ૪૧ મિલીયન ટનની રહેશે. હાલ ફુડ કોર્પોરેશન પાસે ઘઉં અને ચોખાનો ૭૫ મીલીયન ટનનો જથ્થો પડેલો છે. જે આવતા મહિને વધીને ૮૦ મીલીયન ટન થઈ જશે.