અમદાવાદ: શહેરમાં ભયજનક મકાનો પડી જવાનો સિલસિલો ચાલી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં ઓઢવમાં ગરીબ આવાસ યોજનાના શિવમ્ ફ્લેટના સી બ્લોકના ૨૩ અને ૨૪ નંબરના બ્લોક ધરાશાયી થયા હતા. આજે વહેલી પરોઢે રખિયાલ વિસ્તારમાં આવેલ સરકારી વસાહતના મકાનની એક છત પડી જતાં દોડધામ મચી ગઇ હતી.
આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. આ સરકારી વસાહતની હાલત એટલી જર્જરીત છે કે અહીં રહીશો જીવના જોખમે રહે છે.
રખિયાલ વિસ્તારમાં ૭૫ વર્ષ જૂના સરકારી આવાસ યોજનાની સોનારિયા બ્લોક વસાહત આવેલી છે. જેમાં પાંચ હજારથી વધુ લોકો રહે છે. સોનારિયા વસાહતના૧૮ નંબરના બ્લોકની છત એકાએક પડી જતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં બે લોકોને ઇજા પહોંચી હતી.
જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં ગરીબ આવાસ યોજનાના શિવમ્ ફ્લેટના બે બ્લોક ધરાશાયી થયા હતા, તેનાં કરતાં પણ ખરાબ હાલત સોનારિયા બ્લોકની છે.
સોનારિયા બ્લોકની સ્થિતિ જોતાં ગમે ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થાય તેવી સ્થાનિક રહીશોમાં દહેશત છે. બિલ્ડિંગ એ હદે જર્જરીત છે કે રહીશો રહેવા માટે પણ તૈયાર નથી. ઓઢવમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં ભયજનક મકાનોનો સર્વ શરૂ કરી દીધો છે.
છેલ્લા એક અઠવાડિયામાં એક મકાન અને બે છત ધરાશાયી થવાના બનાવ બન્યા છે. જેમાં બે વ્યકિતઓનાં મોત થયાં છે. ચાર કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. ઓઢવમાં બે બિલ્ડિંગ ધરાશાયી બાદ દરિયાપુરમાં મકાન ધરાશાયી થઇ ગયું હતું ત્યાર બાદ ગઇ કાલે દાણીલીમડામાં એક છત પડી જતાં મહિલાનું મોત થયું હતું. આજે વહેલી પરોઢે સોનારિયા બ્લોકની છત પડી જતાં બે લોકો ધાયલ થયા હતા.