ભારતીય ઓપનર શિખર ધવન અંગુઠાની ઇજાના લીધે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની બહાર થઇ ગયો છે. તેને આ ઇજા ઓસ્ટ્રેલિયા સામેની વખતે 9 જૂનના રોજ ઓવલ ખાતે થઇ હતી. દિલ્હીના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને તેની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના મેનેજર સુનિલ સુબ્રમણિયમે બુધવારે આ વાર કંફર્મ કરી હતી. ઇજાના લીધે ધવન રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ માન્ચેસ્ટર ખાતેની મેચમાં રમ્યો ન હતો. પંતને તેના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો અને હવે તે ધવનને રિપ્લેસ કરશે.
33 વર્ષીય ઓપનરનો કાંગારું સામેની મેચ પછી લીડ્સ ખાતે ડાબો અંગુઠો સ્કેન કરવામાં આવ્યા હતા અને ટીમ મેનેજમેન્ટે તેને ટીમ સાથે જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે તેને ઇજામાંથી સ્વસ્થ થવામાં વધુ ટાઈમ લાગે તેમ હોવાથી તે હવે વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. ભારતીય ટીમના ફિટનેસ ટ્રેનર શંકર બાસુએ કહ્યું હતું કે, એકથી વધુ ડોક્ટર પાસેથી ઓપિનિયન લીધા પછી ખબર પડી છે કે ધવન જુલાઈના બીજા અઠવાડિયા પહેલા ફિટ થઇ શકે તેમ નથી. અમે તેના રિપ્લેસમેન્ટ તરીકે ઋષભ પંતની માગ કરી છે.
ધવનને ભારતની બીજી વર્લ્ડકપ મેચ દરમિયાન ઇજા થઇ હતી. તેને કમિન્સનો બાઉન્સર અંગુઠામાં વાગ્યો હતો, તેમ છતાં તે મેચમાં બેટિંગ જાળવી રાખતા તેણે સદી ફટકારી હતી. ઇનિંગ્સ પછી ફીઝિયો પેટ્રિક ફરહાર્ટે તેની સારવાર કરી હતી અને તે બીજા દાવમાં ફિલ્ડિંગ માટે આવ્યો ન હતો. તે ડ્રેસિંગ રૂમમાં અંગુઠા પર આઈસ પેક સાથે દેખાયો હતો.
ધવનની ગેરહાજરી રાહુલ ઉપર જવાબદારી
ધવનની ગેરહાજરીમાં માન્ચેસ્ટર ખાતે પાકિસ્તાન સામેની મેચમાં લોકેશ રાહુલેઓપનિંગ કરી હતી. ધવન વર્લ્ડકપમાંથી બહાર થયો હોવાથી હવે તે જ આખી ટુર્નામેન્ટ દરમિયાન રોહિત સાથે બીજા ઓપનરની ભૂમિકા નિભાવશે. ઋષભ પંત જે દિનેશ કાર્તિકે સામે બેકઅપ કીપરની રેસ હારી ગયો હતો, તે હવે ટીમ સાથે જોડાય ગયો છે