બનાસકાંઠાના સુઇગામ તાલુકાના ખેડૂતો કેનાલોના પાણી મામલે ભૂખ હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સુઇગામ તાલુકાના છેવાડાના રડોસણ, મેઘપુરા, ગોલપ અને પાડણ ગામના ૫૦ જેટલા ખેડૂતો આજથી સુઇગામની પ્રાંત કચેરી આગળ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. આ ખેડૂતો સુઇગામ ખાતેની પ્રાંત કચેરીએ અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.અઠવાડિયા પહેલા કેનાલમાં પાણી છોડાવવા આવેદનપત્ર આપવા છતાં નર્મદાના અધિકારીઓએ કેનાલમાં પાણી પહોંચાડવા બાબતે નિષ્કાળજી દાખવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. સુઇગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ ખેડૂતો સાથે આ ભૂખ હડતાળમાં જોડાયા છે. ખેડૂતોની અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળના પગલે તંત્રમાં દોડધામ મચી છે. સરહદી ગામોને જોડતી રડોસણ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ છેવટે ભૂખ હળતાળનું હથિયાર ઉગામયુ છે. હાલ રડોસણ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ સફાઈ વગર અવાવરૂ હાલતમાં પડી છે.ત્યારે સ્થાનિક ખેડુત અગ્રણીઓએ આ મામલે તંત્ર પર આકરા પ્રહાર પણ કર્યા હતા.