ગુજરાતમાં એક માસનું અનાજ એડવાન્સમાં અપાશે
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે ગરીબ શ્રમજીવો સહિત સામાન્ય નાગરિકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણયો લેવામાં આવ્યા છે.
વર્તમાન સ્થિતીમાં ગરીબ અને સામાન્ય પરિવારોને ખાદ્ય અને અન્ન પુરવઠો મેળવવામાં અને જીવનનિર્વાહ કોઇ મુશ્કેલી ન રહે તે માટે એ.પી.એલ અને બી.પી.એલ કાર્ડધારકોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એક માસનું અનાજ એડવાન્સમાં આપવામાં આવશે તેવો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી, મુખ્ય સચિવ ડા.અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ તેમજ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ દયાની, આરોગ્ય અગ્ર સચિવ ડા. જયંતિ રવિ અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારના સમાજકલ્યાણ અને મહિલા બાળકલ્યાણ વિભાગની માસિક સહાય-પેન્શન મેળવતા નિરાધાર, વૃદ્ધ, વિધવા માતા-બહેનો અને દિવ્યાંગો વગેરેને એક માસનું પેન્શન એડવાન્સમાં આપવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. કોરોના વાયરસનો વ્યાપ કે ફેલાવો રાજ્યમાં વધે નહિ અને વધુ લોકો સંક્રમિત ન થાય તેવા ઉદ્દાત હેતુથી આ બેઠકમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારની કચેરીઓમાં તા.ર૯ માર્ચ-ર૦ર૦ સુધી પૂર્વઅનુમતિ – એપોઇન્ટમેન્ટ સિવાય અને અગત્યના ન હોય તેવા કામો માટે મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહિ.