નવી દિલ્હી: આધાર કાર્ડ મામલે આજે બુધવારે સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રિમ કોર્ટે ક્યાં આધર કાર્ડ આપવુ પડશે અને ક્યાં નહીં આપવું પડે તે વિશે જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે મોબાઇલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજીયાત નથી.
સુપ્રિમ કોર્ટના જણાવ્યા અનુસાર પાન કાર્ડ બનાવવા અને આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર નંબર આપવો પડશે. સરકારી યોજનાઓ અને સબસીડીનો લાભ લેવા માટે આધારકાર્ડ આપવું પડશે.
સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, મોબાઇલ સીમ, બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી નથી. 6 થી 14 વર્ષના બાળકોને સ્કૂલમાં એડમિશન માટે આધાર કાર્ડ આપવું જરૂરી નથી. સીબીએસઇ, નીટ અને યુજીસીની પરીક્ષાઓ માટે પણ આધાર કાર્ડ જરૂરી નથી. સીબીએસઇ, બોર્ડ એક્ઝામમાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ ન માગી શકાય. 14 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ ન હોય તો તેને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવતી જરુરી સેવાઓથી વંચિત ન રાખી શકાય. ટેલિકોમ કંપનીઓ, ઇકોમર્સ ફર્મ, પ્રાઇવેટ બેંક અને અન્ય પ્રકારની સંસ્થાઓ આધાર કાર્ડ ન માગી શકે.
સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આધાર કાર્ડ સામાન્ય લોકોના હિત માટે કામ કરે છે. આધાર ડેટાને 6 મહિનાથી વધુ સ્ટોર નહીં કરી શકાય. પાંચ વર્ષ સુધી ડેટા રાખવો બેડ ઇન લૉ છે. પ્રાઇવેટ કંપનીઓ આધાર કાર્ડ ન માંગી શકે. સુપ્રિમ કોર્ટે લોકસભામાં આધાર બિલને નાણાકીય વિધેયકના રૂપમાં પાસ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. આધાર કાર્ડ સુરક્ષિત છે પરંતુ ઘુસણખોરો આધાર કાર્ડ ન બનાતી તે તેનું ધ્યાન સરકારે રાખવું જોઈએ.