પાટણથી ચાણસ્મા-બહુચરાજી જતી બસોને હાલના સમયપત્રક મુજબ ચલાવવા મુસાફરોની માંગ
ચાણસ્મા
ગુજરાત એસ.ટી. પરિવહન દ્વારા ચાલતી નિગમની બસના સમાંતરે ખાનગી વાહનો દ્વારા પેસેન્જરોની હેરાફેરી થતી હોવાને કારણે તેમજ દરેક એસટી ડેપોમાં જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોવાથી દિવસે દિવસે એસ.ટી.તંત્ર ખોટનો વેપલો કરી રહ્યું છે. જેમાંથી બહાર આવવા તમામ એસ.ટી.ડેપોમાં મેટ્રોલીંક (મીની બસ) બસ ફાળવી આપવામાં આવી છે. પરંતુ સમયપત્રકના સંકલનના અભાવે એસ.ટી.નો આ પ્રયોગ સદંતર નિષ્ફળ નીવડ્યો હોય તેમ જણાય છે.
મહેસાણા એસ.ટી. વિભા ગીય કચેરી નીચે ૧૧ ડેપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને મોટાભાગના રૂટ ઉપર એસ.ટી.સમાંતર ખાનગી વાહનોમાં પોલીસની મીલીભગત સાથે મુસાફરોની હેરાફેરી થઈ રહી છે. જેના કારણે એસ.ટી.ની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. મહેસાણા એસ.ટી.વિભાગીય કચેરીના તમામ ડેપોમાં ર-ર મેટ્રોલીંક બસ ફાળવવામાં આવી છે. પરંતુ તેનું સુચારૂ આયોજન તંત્ર દ્વારા હજુ ગોઠવાયું નથી. નિગમની અગાઉની બસ જે મુજબ ચાલે છે તેની સાથે જ મીની બસ મૂકવામાં આવતાં ટ્રાફિક મળતો નથી. એસ.ટી.સમયપત્રક મુજબ યોગ્ય ફેરફાર કરી જે સમયે એસ.ટી.નો ટાઈમ ન હોય તે સમય ગાળામાં જ મીનીબસ ચલાવવામાં આવે તો તેનો હેતુ સફળ થઈ શકે તેમ છે. ચાણસ્મા, બહુચરાજી અને પાટણ ડેપોમાં ફાળે આવેલી તમામ મીની બસનું સંચાલન હાલમાં મોટાભાગે પાટણથી વાયા ચાણસ્મા, બહુચરાજી રૂટ પર થઈ રહ્યું છે અને મોટાભાગની આ બસો એક જ સમયે ઉપડતી હોવાથી હાલમાં ટ્રાફિક નહીં મળતું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જેથી એસ.ટી.સમાંતર ચાલતા ખાનગી વાહનો બંધ થાય અને નિગમની આવકમાં વધારો થાય તેવો એસ.ટી.નિગમનો અભિગમ સાર્થક થતો હોય તેમ જણાતું નથી. એસ.ટી.તંત્ર દ્વારા ડેપોની હદમાં જ ખાનગી વાહનો બેરોકટોક ખરાય છે. ઘણા ખાનગી વાહનોના માલિકો પોલીસના માણસો જ હોવાથી તેમજ વાહન ચાલકો પાસેથી હપ્તા મળવાને કારણે એસ.ટી.તંત્રને સહકાર સાંપડતો નથી. હાલના ચાલતા એસ.ટી.સમયપત્રકની સમીક્ષા કરી જરૂરી સમયે જ બસનું સંચાલન થાય તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે.