થરાદ : થરાદમાંથી પસાર થતી નર્મદા નહેર પંથકની કાયાપલટ કરી દીધી છે. પરંતુ નહેરમાં અપમૃત્યુના બનાવો વધી પડ્યા છે તેથી નહેર ‘સ્યુસાઈડ પોઈન્ટ’ સાબિત થઈ છે. જેના કારણે નહેર ઉપર અમદાવાદની જેમ તાર ફેન્સીંગ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
આ બાબતે થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ એચ.સોલંકીએ જણાવ્યું હતું કે, મુખ્ય નર્મદા નહેર થરાદ શહેરની પશ્ચિમ દિશાએથી પસાર થાય છે. શહેરને અડીને નર્મદા નહેર ઉપર પાંચ કિલોમીટરમાં પાંચ પુલ આવેલા છે. આ પાંચ કિલોમીટર નહેરમાં અત્યાર સુધી પાંચ હજારથી પણ વધુ લોકોએ મોતની છલાગ લગાવી આત્મહત્યા કરેલ છે. આવા લોકોને બચાવવા માટે અત્યારે થરાદમાં માત્ર એક જ સુલતાન મીર નામનો તરવૈયો છે. જેમણે આજદીન સુધી અંદાજે રપ૦૦ જેટલી લાશો બહાર કાઢેલ છે. અને પાંચસો માણસોને જીવતા બહાર કાઢવામાં સફળ થયેલ છે. આવા લોકોની જીંદગી બચાવવા માટે અત્યારે માત્ર એક જ ઉપાય છે કે, પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં અમદાવાદમાં આવેલ નહેરો જેવો તાર ફેન્સીંગ કરવામાં આવે તો ઘણા બધા લોકોની જીંદગી બચી શકે છે. તાર ફેન્સીંગ કર્યા બાદ તંત્ર દ્વારા એક તરવૈયો તો સુલતાન મીર છે. અને બીજા એક તરવૈયો બાઈક સાથે રાખવામાં આવે અને સરકાર દ્વારા પગાર પણ ચુકવવામાં આવે આમ ન થાય તો થરાદ તાલુકા કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા એક તરવૈયાનો પગાર આપવા હું થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વતી બાંહેધરી આપું છું. તેમનો પગાર થરાદ કોંગ્રેસ પક્ષના આગેવાનો આપશે. તેમ જણાવી માનવીય અભિગમ દાખવીને પણ તંત્ર દ્વારા નહેર ઉપર તાર ફેન્સીંગ કરવાની માંગ કરી હતી.