ભીલડી-પાટણની નવી રેલ્વે લાઈન ઉપર આવેલ મુડેઠા (ગોગાપુરા) ગામ નજીક માલગાડીની ટક્કરે અસ્થિર મગજના યુવાન રાઠોડ રતનસિંહ આંબાજી ઉ.વ.૩૧ નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જેની જાણ થતાં દોડી આવેલી ભીલડી પોલીસે લાશ પોસ્ટમોર્ટમ અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જ્યાં પોસ્ટમોર્ટમ બાદ લાશ વાલીવારસોને સુપ્રત કરાઈ હતી. આ બાબતે પોલીસે અકસ્માતે મોતનો ગુનોદાખલ કરી વધુ તપાસ એ.એસ.આઈ.વિહાજી ચલાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભીલડી-પાટણની નવી રેલ્વેલાઈન શરૂ થઈ છે જેથી પંથકમાં ખુશાલી છવાઈ છે પરંતુ રેલ્વેલાઈન ઉપર મોતનો પ્રથમ બનાવ બનતા પંથકમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ છે.