પાલનપુર : બનાસ ડેરીએ બનાસ દાણમાં કરેલા ભાવ વધારા સહિતના ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ ખફા થયું છે. બનાસકાંઠા કિસાન સંઘે કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી છે.
રાજ્યની ભાજપ સરકારના રાજમાં ખેડૂતોની હાલત કફોડી બનતી જાય છે. એકબાજુ ખાતરમાં ઘટ સાથેનું કૌભાંડ બહાર આવ્યું છે. તો બીજીબાજુ નકલી બિયારણનું કૌભાંડ પણ પજવી રહ્યું છે. ત્યારે પડતા પર પાટું મારતી હોય તેમ બનાસડેરીએ પણ બનાસદાણમાં ભાવ વધારો ઝીંકતા બનાસકાંઠાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ખેડૂતોની વ્હારે ચડતા આજે બનાસકાંઠા કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં બનાસદાણનો ભાવ વધારો પાછો ખેંચવા, રી-સર્વેનો પ્રશ્ન સોલ્વ કરવા, ખાતર કૌભાંડમાં ખાતર ખરીદનાર ખેડૂતને વળતર આપવા સહિતની માંગ કરાઈ છે. આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના અગ્રણી ભીખાભાઇ ભૂટકા અને મોંઘજીભાઈ ચૌધરી સહિતના અગ્રણી ઓ હાજર રહ્યા હતા.