શહેર કે પછી ગામડામાં કોઈપણ વિકાસના કામો હાથ ધરવામાં આવે અને તેમાં જા ગેરરીતિ આચરવામાં આવે તે ચલાવી લેવાય નહીં ત્યારે અમીરગઢમાં કરોડોના ખર્ચે બનાવેલ ભૂગર્ભ ગટર યોજના ગામના લોકો માટે માથાના દુખાવા સમાન સાબીત થાય છે. ગામમાં અનેક જગ્યાએ ભુગર્ભ ગટર યોજનાના ચેમ્બરો ભરાઈ જાય છે. જેથી લોકોના ઘર આગળ તેમજ સોસાયટીના માર્ગ પર ગંદા પાણીનો પ્રવાહ વહેતો થઈ જતાં આ ભરાયેલા ગંદા પાણીની તીવ્ર દુર્ગંધ આવતાં લોકો પોતાના મકાન આગળ બેસી શકતા નથી. ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ થતાં રોગચાળાની દહેશત
જણાય છે.
અત્રે નોંધવું ઘટે કે અમીરગઢનો અંબિકાચોક વિદ્યાર્થીઓને આવ જા કરવાનો મુખ્ય માર્ગ છે પરંતુ સત્તાવાળાઓના મનઘડ વહીવટના કારણે શાળાએ જતાં વિદ્યાર્થીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રહીશો પણ આ ઉભરાતા ગટરના ગંદા પાણીથી ત્રાસી ઉઠયા છે. કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલાં ભૂગર્ભ ગટરના ચેમ્બરોની સાફસફાઈ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.