ઊંઝા-પાટણ હાઇવે એક ખાનગી ફાર્મમાં ગુરૂવારે આંટા કડવા પાટીદાર સમાજના સંગઠનની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલએ મતદારોએ તો મને ભાજપમાં જોડાવાની સમંતિ આપી પણ હું હજુ મારા મોવડી મંડળને મળી ચર્ચા વિચારણા બાદ કોઈ નિર્ણય લઈ શકું તેવું જાણાવ્યું હતું. ઊંઝાના કોંગ્રેસ ધારા સભ્યએ એકાએક પક્ષમાંથી ધારાસભ્ય પદે રાજીનામુ ધરી દેતા સમગ્ર પંથક તેમજ કોંગ્રેસ પક્ષ આવાચક બની ગયો છે, ઘણા લાંબા સમયે ભાજપની વિચારધારાવાળી ઊંઝાની સીટ ઉપર એક સમયે ૨૪ હજાર મતોથી હારેલા મહિલાએ ૨૦ હજાર મત વધુ મેળવી ભાજપ પાસેથી સીટ આંચકી કોંગ્રેસને આશાનું કિરણ બતાવ્યું હતું. ઊંઝા એપીએમસી અને લોકસભાની ચૂંટણી ટાણે જ એકાએક આશાબેન પટેલે કોંગ્રેસમાં આંતરિક ડખા તેમજ પોતાના સ્વમાનને ઠેસ પહોંચતી હોવાને કારણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ ગુરૂવારે એક ખાનગી ફાર્મમાં આંટા કડવા પાટીદારના જાહેર કર્યક્રમમાં ઉપસ્થિત રહી સમાજના લોકો સામે પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યુ હતુ કે પ્રજા કહે તો સત્તા અને પ્રજા કહે તો રાજકીય સન્યાસ પણ લેતા હું અચકાઈશ નહીં, એપીએમસીની સત્તાની મારી ખેવના નથી. મોવડી મંડળને મળી જે નિર્ણય લેવાશે તે વિચારણા બાદ ૮ ફેબ્રુઆરીએ પાટણ ભાજપની ક્લસ્ટર બેઠકમાં નિર્ણય જાહેર થશે. તેમજ પોતાના ટેકેદારને એપીએમસીની સીટ માટે ધારાસભ્યનું પદનું બલિદાન આપ્યાની વાતને રદિયો આપ્યો હતો. આ અંગે આંટા કડવા પાટીદાર સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ પટેલ(મિલન)એ જણાવ્યું હતુ કે, પક્ષ અને હોદ્દાની કોઈ મહત્વકાંક્ષા વિના વ્યક્તિવાદની તાનાશાહી નાબૂદ કરવા અમે સક્રિય થયા છીએ.બીજી બાજુ વિવેકાનંદ વિચારણા મંચના મહામંત્રી શિવમભાઇ રાવલે કહ્યુ હતુ કે, ઊંઝા વેપારી મથક છે,નફા નુકશાન પારખનારી પ્રજા છે,સત્તાધારી પક્ષમાં વિકાસના કર્યો વેગવંતા બને એ માટે વિવેકાનંદ વિચારણા મંચની લાગણી આશાબેન પટેલ ભાજપમાં જોડાય એવી સૌની અપેક્ષા છે.