બનાસકાંઠા જિલ્લો સુકકો ભઠ્ઠ જિલ્લો માનવામાં આવે છે અને આ સૂકા જિલ્લામાં ડીસા તાલુકાનાં એક ખેડૂતે સફળ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી તેનામાં રહેલી કોઠા સૂજના દર્શન કરાવ્યા છે.
પાણીની તંગી સહન કરતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમની કોઠા સૂજથી હવે બનાસકાંઠાની ભૌગોલિક પરિસ્થિતી અનુસાર ઉત્તમ ખેતી કરવા માંડ્યા છે. ડીસા નજીક આવેલા વાસણા ગોળીયા ગામમાં રહેતા એલ.એલ.બી.નો અભ્યાસ કરેલા મનોજભાઇ એક સમયે એક જંતુનાશક દવાનું સેલિંગ કરતાં હતા.પરંતુ જંતુનાશક દવાની આડ અસરથી માહિતગાર થયા બાદ મનોજભાઈએ આ નોકરી છોડી મૂકી અને પોતાની પરંપરાગત પાંચ એકર જમીનમાં ખેતી કરવાની શરૂઆત કરી છે. શરૂઆતના સમયગાળામાં મનોજભાઇ પરંપરાગત ખેતી કરતાં હતા. પરંતુ સમય જતાં મનોજભાઇ માળીએ તેમની ખેતીમાં પ્રયોગો કરવાની શરૂઆત કરી રસાયણિક ખેતી છોડીને સજીવ ખેતી કરવા માંડ્યા અને તેના સારા પરિણામ મળતા મનોજભાઇ માળીએ તેમના ખેતરમાં ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા હતા. પોતાના ખેતરની એક એકર જમીનમાં મનોજભાઇ માળીએ ૩૨૦૦ ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા બાદ હવે તેના પર ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ડ્રેગન ફ્રૂટની વધતી જતી માંગને પગલે ઇન્ટરનેટ પર સર્ચ કરીને મનોજભાઇ માળીએ તેમના ખેતરની એક એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટના રોપા ઉછેર્યા છે અને આ રોપા હવે તૈયાર થઈ જતાં તેની પર ફળ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો ડ્રેગન ફ્રૂટની ખેતી ઠંડા અને સૂકા પરદેશમાં થતી હોય છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લો રેતાળ જમીન ધરાવવા ઉપરાંત ગરમ આબોહવા ધરાવતો હોવાના લીધે આટલી ગરમીમાં પણ ડ્રેગન ફ્રૂટના રોપાઆૅને ગરમીથી બચાવવા માટે ડ્રેગન ફ્રૂટના રોપાઓની આસપાસ અન્ય ફળાઉ છોડ વાવીને તાપમાન મેઇનટેન કરીને મનોજભાઇ માળી ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરી રહ્યા છે. અને ડીસા જેવા સુકકા પ્રદેશમાં તૈયાર થયેલા ડ્રેગન ફ્રૂટને નિહાળવા માટે અત્યારે દૂર દૂરથી લોકો પણ મનોજભાઈના ખેતર પર આવી રહ્યા છે. ત્યારે સુકકા બનાસકાંઠા જિલ્લાના અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની બાગાયતી ખેતી તરફ વળવાની હિમાયત વાસણા ગોળીયા ગામના પ્રગતિશીલ ખેડૂત મનોજભાઇ માળી કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો બટાટાની ખેતી તરીકે વિખ્યાત થયેલો હતો.પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાટાની ખેતીમાં ખેડૂતોને થઈ રહેલા નુકશાનને લઈ મનોજભાઇ અલગ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરયા હતા અને તેમના આ પ્રયાસમાં તેમણે સફળતા પણ મળી છે ત્યારે ડીસાના આ ખેડૂતે સાબિત કરી બતાવ્યુ છે કે ખેડૂતને શા માટે ધરતીપુત્ર કહેવામા આવે છે...? જો ખેડૂત ધારે તો ગમે તે સ્થળ પર પોતાની મહેનત અને પરસેવાથી નંદનવન સર્જી શકે છે.