બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં દુષ્કાળની પરિસ્થિતી વચ્ચે પુરતા પ્રમાણમાં ઘાસચારો નહી મળતો હોવાથી પશુપાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આથી તેમનામાં ભારે રોષની લાગણી પણ પ્રવર્તી રહી છે. થોડા સમય પહેલાં આવેદનપત્ર સ્વરૂપે આંદોલનની ચિમકી આપવા છતાં પણ પશુઓ માટે ઘાસચારો નહી મળતાં હવે તેમની ધીરજ પણ ખુટ્યાની પ્રતિતી શુક્રવારે લોઢનોર અને માંગરોળમાં યોજાયેલી ગ્રામસભામાં થવા પામી હતી. ગ્રામસભામાં થરાદના માંગરોળ ગામના પશુપાલકોએ હોબાળો કરતાં જણાવ્યું હતું કે તેમને સરકાર દ્રારા રાહતના દરે ઘાસનાં ૫૭ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. પરંતુ પીલુડા ડેપોમાંથી ઘાસ આવતું નથી કે તેઓ ધક્કા ખાઇને પરત ફરે છે પણ મળતું નથી.