થરાદ : થરાદના વાવ હાઇવે પર દુધશીતકેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ગુરૂવારની સાંજના ચારેક વાગ્યાના સુમારે વાવ તાલુકાનો એક યુવક નહેર સુધી આવ્યો હતો. અને તેણે કિનારે ચંપલ મુકી અગમ્ય કારણોસર નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. આ બનાવ કોઇ રાહદારીએ જોઇ જતાં તેણે બુમો પાડી લોકોને એકઠા કર્યા હતા. આ બનાવ અંગે નગરપાલિકાના તરવૈયા સુલતાનમીરને જાણ કરાતાં તે પણ ફાયરફાયટરના કર્મચારી સાથે નહેર પર દોડી આવી બે કલાકની ભારે જહેમત બાદ સાંજના પોણા છ વાગ્યાના સુમારે નહેરમાંથી મૃતદેહ બહાર નિકાળીને તેના પરિવારને સોંપ્યો હતો.
આ બનાવ અંગે પોલીસ દફતરે કોઇ નોંધ થવા પામી ન હતી તેમ જાણવા મળ્યું હતું .જ્યારે યુવક વાવના શહેરનો પરિણીત દલિત પ્રકાશભાઇ નારણભાઈ ઉંમર આશરે ૩૦ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવથી વાવ થરાદ પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચવા પામી હતી.