હળવદના મોડી રાતે જૂથ અથડામણમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં ચાર વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ઘટનાનો પડઘો આજે પણ પડ્યો હતો. આજે સવારે સાડા દસ આસપાસ શહેરમાં આવેલી દુકાનોની આગચંપી કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી હતી.
હળવદના જંગરીવાસમાં બજંરગદળના હોદ્દેદારો અને સંયોજકો પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. તલવારથી હુમલો કરાતા બજરંગદળના બે હોદ્દેદારો પણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, હળવદમાં જૂની અદાવતમાં આ હુમલો થયાની આશંકા છે. તો હુમલા બાદ હળવદમાં અચોક્કસ મુદ્દતનું બંધનું એલાન પણ જાહેર કરવામાં આવ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જો કે, આ ઘટના અંગેની જાણકારી નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અન્ય કોઇ અઘટિત બનાવ ના બને તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.