સાંતલપુર તાલુકાના ગામનો જવાનજોધ ખેડુત નર્મદા કેનાલમાંથી મશીન મારફત પાણી ખેંચવા જતાં ડુબી ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ત્યારે સ્થાનિક તંત્રએ તરવૈયાઓએ મારફત શોધખોળ શરૂ કરી હતી. સવારે ડુબેલો યુવાન બપોરે મૃત હાલતમાં મળી આવતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યુ છે. ખેતી માટેની મથામણમાં ખેડુતે જાન ગુમાવતા પંથકના કૃષિ આલમમાં ચકચાર મચી ગઇ છે.
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામના નવીન પરબત આહીર(ઉ.વ.ર૧) ખેતીને પિયત માટે નર્મદા કેનાલ ગયો હતો. કેનાલમાં મશીન મુકી ખેતરમાં પાણી ખેંચતો હતો. આ દરમ્યાન પાઇપમાં ફુગ લાગી જતાં પાણી ખુબ જ ઓછુ આવતુ હોઇ કેનાલ ઉપર મુકેલ મશીન નજીક ગયો હતો. આ દરમ્યાન કેનાલની દિવાલ પરથી પગ લપસતા પાણીમાં પડી ગયો હતો. યુવાન ખેડુત તરીને બહાર નીકળે તે પહેલા જ ડુબી ગયો હતો.
કેનાલમાં યુવક ડુબ્યો હોવાની જાણ સ્થાનિક રહીશોના ટોળેટોળા બચાવ કાર્ય માટે દોડી ગયા હતા. આ તરફ સ્થાનિક વહીવટીતંત્ર સહિતનાઓએ તરવૈયાઓ મારફત યુવાનની શોધખોળ શરૂ કરી હતી. સવારે ૯ વાગે બનેલી ઘટના બાદ જવાનજોધ ખેડુતની લાશ બપોરે મળી આવતા પરિવારમાં શોકનો માહોલ બની ગયો હતો. પોલીસે અકસ્માતે નોંધ કરી લાશને પોસ્મમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.