બનાસકાંઠાના ડીસા - થરાદ રોડ પર જોરપુરા નજીક ગતરોજ વહેલી સવારે બે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું મોત નિપજયું પહતું જયારે જીપચાલક સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં તેમને ડીસા ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ડીસા-થરાદ રોડ પર આવેલ જોરાપુરા ગામના પાટિયા પાસે ગત રોજ વહેલી સવારે ફોરચુનર ગાડી (નં.આર.જે.૦૪ યુ. પી.ઓ. ૬૫૯)ના ચાલકે કમાન્ડર જીપ (નં.જે.જે. ૮ આર.૫૭૧૮) ને ધડાકાભેર ટક્કર મારતાં કમાન્ડર જીપમાં બેઠેલા દુધાભાઈ શંકરભાઇ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જયારે જીપમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઈજાઓ થતા તેમને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની વધુ તપાસ પી.આઈ. આર.આર. શર્મા ચલાવી રહ્યા છે. આ ઘટનામાં દાદાનો મરણ પ્રસંગ પતાવીને પરત જઇ રહેલા પરિવારના પૌત્રનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.