થરાદ : થરાદ તાલુકાના ખોડા ગામના નરસિભાઈ ગામનાભાઈ લુહાર ઉમર વર્ષ ૩૬ એ થરાદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શનિવારની રાતના નવ વાગ્યાના સુમારે પોતાનો નાનોભાઈ શાંતિભાઈ ઉ.વ. ૨૮ પોતાનું RJ24M0556 નંબરનું મોટર સાયકલ લઈને ગામમાં સમાન લેવા માટે નીકળ્યો હતો. જે રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે પરત આવતાં થરાદ-સાંચોર હાઇવે જૈન દેરાસર સામે રોડ પર સામેથી રોંગ સાઈડમાં ઘર તરફ વળવા આવતા GJ8S૭૩૧૫ નંબરના મોટર સાયકલના ચાલકે ટક્કર મારી હતી.
આથી શાંતિભાઈને માથામાં ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ તેનું કરુણ અને કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. જ્યારે સામેના મોટર સાયકલના ચાલકને પણ ઇજા થતાં સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. નરસીભાઇની ફરિયાદના આધારે થરાદ પોલીસે અકસ્માત સર્જનાર મોટર સાયકલ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી પંથકમાં અરેરાટી સાથે ચકચાર ની લાગણી પ્રસરી જવા પામી હતી.