રાધનપુર : રાધનપુર પાલિકાના સેનીટેશન વિભાગના હરદાસભાઇ આહીરે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભ્રષ્ટાચાર થયાની રજુઆત નગરપાલિકાઓના ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશ્નર અને પાટણ જિલ્લા કલેક્ટરને કરી છે,જેમાં ભીંત ચિત્રો રંગવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા,જેમાં રૂ.૧.૫૦ લાખની જ કામગીરી કરવામાં આવી છે,હકીકતમાં રૂ.૪.૯૫ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું,તેમાં રૂ.૭.૫૦ લાખ ચુકવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ટેન્ડર બહાર પાડવામાં આવેલ તેમાં સેનેટરી ચેરમેનને પણ જાણ કરવામાં આવી ન હતી.આ ઉપરાંત સ્વચ્છતા અભિયાનના ટી-શર્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું નથી.આ અભિયાન માટેના કેલેન્ડરની ગુણવત્તા માત્ર રૂ.૫ જેટલી જ હોવા છતાંય રૂ.૧૦૦ કિંમત આંકવામાં આવી છે.આ સમગ્ર બાબતોને ગત તા.૨૫ જુનની સામાન્ય સભામાં પણ તમામ સદસ્યોએ એકસૂર થઈને વિરોધ કરીને વખોડી કાઢવામાં આવી હતી.એજન્સી અને અધિકારીઓએ સાથે મળીને ભ્રષ્ટાચાર આદર્યો હોઈ અન્ય નગરપાલિકાઓમાં પણ એજન્સીની તપાસ કરીને નાણાં રિફંડ કરવા તજવીજ હાથ ધરવા માંગ કરવામાં આવી છે.આ સ્વચ્છતા અભિયાનના ટેન્ડરો ઓફલાઈન બહાર પાડવામાં આવ્યા હતા, અને કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોઈ ઘટતી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.