વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે મંગળવારે માદરે વતન વડનગરમાં શહેરીજનોએ પ્લાસ્ટિક નહીં વાપરવાની પ્રતિજ્ઞા લઈ પીએમના જન્મ દિવસની ઊજવણી કરી હતી. વડાપ્રધાન મોદીના જન્મ દિવસ અને નમામિ નર્મદે મહોત્સવ નિમિત્તે વડનગર પાલિકા દ્વારા મેડિકલ કોલેજ હોસ્પિટલથી શર્મિષ્ઠા તળાવ સુધી સ્વચ્છતા તેમજ જળ અંતર્ગત રેલી યોજાઈ હતી.
મા નર્મદાની આરતી કરાઈ હતી. તેમજ નગરસેવકો સહિત શહેરીજનોએ પ્લાસ્ટિક નહીં વાપરવા પ્રતિજ્ઞા કરી હતી. મોદીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતુ તે બીએન હાઇસ્કૂલમાં સાંસદ જુગલ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકો તેમજ શિક્ષકોએ પ્લાસ્ટિકને જાકારો આપી પીએમના સ્વચ્છતા અભિયાનને ટેકો આપ્યો હતો.સાંસદે પ્રાર્થના હોલ માટે 25 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.
હિમાલયા ઈન્ટર નેશનલ કંપનીના એમ ડી એમ. એમ. મલેકે ધોરણ 12 માં ટોપ આવનાર વિદ્યાર્થીને 11 હજારનુ઼ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.ઓએનજીસી દ્વારા શાળાના 20 કોમ્પ્યુટર આપવાની જાહેરાત કરી સાંસદના હસ્તે ત્રણ કોમ્પ્યુટર ભેટ આપ્યા હતા.વિસામો વૃદ્ધાશ્રમ ખાતે પણ કેપ કાપી વડાપ્રધાનના જન્મ દિવસની ઊજવણી કરાઇ હતી.જેમાં જિલ્લા ઉપપ્રમુખ સુનિલભાઈ મહેતા, પાલિકા પ્રમુખ ઘેમરજી ઠાકોર,કાનાજી ઠાકોર,રાજુભાઈ મોદી,નિલેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.હાટકેશ્વર મહાદેવ મંદિરે રાત્રે પીએમના દીર્ગાયુ માટે મહાઆરતી કરાઈ હતી.