ઉમરગામ તાલુકાના નારગોલ ગામની એક શાળાની બેદરકારીના કારણે એક વિદ્યાર્થિની કલાકો સુધી શાળામાં પુરાઈ રહી હોવાની ઘટના બની હતી. વિાદ્યાર્થિની ઘરે ન પહોંચતા તેના પિતા શોધતા શોધતા શાળાએ પહોંચતા દીકરીનો અવાજ સાંભળી શાળાના જવાબદારોને બોલાવી ગેટનું તાળું ખોલાવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામની જાણીતી જલારામ હાઈસ્કૂલમાં ગણેશ વિર્સજનને લઈ સોમવારે બપોરે ત્રણ વાગે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. શાળાના શિક્ષકો પટાવાળા શાળાની બિલ્ડિંગ જાળીવાળા ગેટને તાળું મારીને ઘરે નીકળી ગયા હતા. જો કે ધોરણે સાતમાં ભણાતી એક વિદ્યાર્થિની દિશા રાઉત કોઈક કારણસર શાળામાં જ રહી ગઈ હોય ઘરે નહીં પહોંચતા ચિંતાતુર તેના પિતા શોધતા શોધતા શાળાએ પહોંચતા પિતાની બાઈકનો અવાજ સાંભળી રડતા રડતા બૂમો પાડતા પિતા ત્યાં પહોંચી શાળાના સંચાલકોને આ બાબતની જાણ કરી ગેટને મારેલુ તાળું ખોલાવી પોતાની દીકરીને બહાર કાઢી હતી. શાળાના શિક્ષકો, પટાવાળાએ વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી રહી ગયુ તો નથી તે જોયા વગર જ શાળાને તાળું મારી ચાલી જતા આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે, આવું ફરીવાર ન બને તે માટે શાળાના જવાબદારોએ કાળજી રાખવાની જરુર છે, તેવો વાલીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો.
ગત રોજ સોમવારે પાંચ દિવસના ગણેશજીનું વિસર્જન હોય શાળાના વિદ્યાર્થીઓને શાળા છૂટવાના નિયત સમય ૪.૨૫ કરતા વહેલા ૩.૧૫ એટલે કે બે કલાક વહેલા છોડી દેવામાં આવ્યા હતા અને વહેલી રજા આપવાની વાત બધા વિદ્યાર્થીઓને ખબર હોય વિદ્યાર્થીઓએ આ વાત ધોરણ ૭ ની વિદ્યાર્થિની દિશા રાઉતને પણ કરી હતી પરંતુ અત્યંત શાંત સ્વભાવની એવી દિશા વર્ગમાં જ બેસી રહેલી હોય કોઈને ખબર પડી ન હતી. પટાવાળાએ માત્ર શાળાની જાળીને તાળું મારી શિક્ષક ગણ પણ શાળા છૂટવાના રોજના સમય સુધી હાજર હતો. સાંજે પાંચ વાગ્યે દિશાના વાલીએ શોધતા વાલી શાળાએ આવતા દિશાનો અવાજ આવતા વાલીએ શાળાના જવાબદારોને જાણ કરી પટાવાળાને બોલાવી શાળાની જાળી ખોલીને દિશાને બહાર કાઢી હતી, હું પણ ગત રોજ રજા પર હતો. મંગળવારે આવીને દિશાના વાલીઓ શિક્ષકગણને બોલાવીને મિટિંગ કરીને ફરી આવું ન બને તે માટે બધાને સૂચના આપી હતી.