બિહારમાં મોતિહારીના એક પ્રોફેસરે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના અવસાન અંગે ફેસબુક પોસ્ટ કરવી મોંઘી પડી ગઇ. શનિવારે તે પોસ્ટને લઇને ભીડે પ્રોફેસરના ઘરમાં ઘૂસીને તેમને જબરદસ્ત માર માર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રોફેસર પર પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવી દેવાની કોશિશ કરવામાં આવી. તેમને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાંથી તેમને પટના રિફર કરવામાં આવ્યા.
પીડિત પ્રોફેસર સંજય કુમાર મોતિહારીની મહાત્મા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમના જણાવ્યા પ્રમાણે, વાઇસ ચાન્સેલર વિરુદ્ધ બોલ્યા પછી તેમને કેટલાક લોકો ટાર્ગેટ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે ફેસબુક પર તેમણે કોઇપણ પ્રકારના ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો નથી. પ્રોફેસર સંજયે હુમલાખોરોને વાઇસ ચાન્સેલરના ગુંડા ગણાવ્યા છે.
તેમના કહેવા પ્રમાણે, પૂર્વ વીસી વિરુદ્ધ થયેલા આંદોલનમાં સક્રિય ભૂમિકા નિભાવવાને કારણે કેટલાક લોકો તેમને સતત ધમકી આપી રહ્યા હતા. શનિવારે ફેસબુક પોસ્ટનું બહાનું બતાવીને તે લોકોએ તેમના પર હુમલો કરી દીધો.
પ્રોફેસર સંજયે પોતાની ટાઇમલાઇન પર અટલજીના અવસાન અંગે એક ફેસબુક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું છે.અટલ નહેરૂવાદી નહીં, પરંતુ સંઘી હતા.
આ પહેલા એક અન્ય પોસ્ટ છે, જે તેમણે પોતે લખી છે. તે પોસ્ટ પ્રમાણે, "ભારતીય ફાસીવાદનો એક યુગ સમાપ્ત થયો. અટલજી અંતિમ યાત્રા પર નીકળી ચૂક્યા છે."
સંજય મોતિહારીના આઝાદનગર મહોલ્લામાં રહે છે. તેમણે જણાવ્યું કે શિનવારે જ્યારે હું મારા ઘરે હતો ત્યારે કેટલાક લોકોએ મારા પર હુમલો કરી દીધો.
હુમલાખોરોએ પૂર્વ પીએમ અટલજી વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવાનું કહીને મારા પર જીવલેણ હુમલો કર્યો.