ડીસાના : અંબિકાનગર સોસાયટીમાં કેટલાક રહીશોએ દબાણ કર્યું છે તે દૂર કરવા રજુઆત કરી હતી.જો આ દબાણ દૂર કરવામાં નહિ આવે તો આ માર્ગે પાકો માર્ગ નહિ બનવા દઈએ તેમ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી.
ડીસાના અંબિકાનગર વિસ્તારમાં દબાણદારોનો રાફડો ફાટ્યો હોવાની વ્યાપક બુમરાડ ઉઠી છે.નગરપાલિકા દ્રારા આ વિસ્તારના કેટલાક દુકાનધારકોને દબાણ હટાવવા નોટિસ આપ્યાની શ્યાહી સુકાઈ નથી તે પૂર્વે વધુ દબાણ દૂર કરવા સ્થાનિકોએ રજુઆત કરી હતી.ડીસાના ડિમ્પલ ટોકીઝ પાસે આવેલ અંબિકાનગર વાળી ગલીમાં ૬૦ થી વધુ મકાનો આવેલા છે. જોકે આજ સોસાયટીમાં કેટલાક વગ ધરાવતા લોકોએ પોતાના ઘર આગળ જ દબાણ કરી દીધું છે.જેના કારણે આ માર્ગે પાકો રસ્તો નથી બનતો.જોકે સ્થાનિકો દ્રારા દબાણ દૂર કરવા ઉચ્ચકક્ષાએ રજીઆત કરી હોવા છતાં પરિણામ ના મળતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.ગુરૂવારે આ સોસાયટીના લોકો નગરપાલિકાના ચીફ આૅફિસરને આ અંગે રજુઆત કરી હતી.સ્થાનિક રહીશ દિનેશભાઇ ટાંકે જણાવ્યું હતું કે,આ સોસાયટીમાં વગ ધરાવતા લોકો દબાણ કરી રહ્યા છે તેઓને વારંવાર કેહવા છતાં તેઓ અપશબ્દો કહી રહ્યા છે અને દબાણ દૂર નથી કરતા જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો હાડમારી વેઠી રહ્યાં છે.જો આ માર્ગે દબાણ દૂર કરવામાં નહીં આવે તો આ સોસાયટીમાં પાકો રસ્તો નહિ બને જો અમને ન્યાય નહિ મળે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે જઇશુ.