રખેવાળ ન્યુઝ, ડીસા : ઊંઝા ખાતે આગામી ૧૮ થી ૨૨ ડિસેમ્બર સુધી યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેથી કડવા પાટીદારોમા માં ઉમિયાના દિવ્ય અવસરને વધાવવા દિન પ્રતિદિન ઉત્સાહ ચરમ સીમા વટાવી ગયો છે છેલ્લા ઘણા દિવસોથી લક્ષચંડી મહાયજ્ઞને લઈ વિવિધ ધાર્મિક પ્રસન્ગો પણ યોજાઇ રહ્યા છે જેમાં "માનું તેંડુ" કંકોત્રીના ઠેર ઠેર વધામણા, જવારા યાત્રા , રાજકોટમાં ભવ્ય બાઇક રેલી, ભોજનશાળા (અન્નપૂર્ણા ) માં ચુલ્હા ચારીની ભવ્ય શોભાયાત્રા સહિતના ધાર્મિક પ્રસંગોની વણઝાર સર્જાઈ છે માં ઉમિયાનો દિવ્ય અવસર ઊંઝાના આંગણે આવ્યો છે ત્યારે તેના માટે ભવ્યાતીભવ્ય આયોજનો થઇ રહ્યા છે જેમાં અનેક રેકોર્ડ પણ સર્જાશે
લક્ષચંડી મહાયજ્ઞમાં કાર્યરત કમિટી દ્વારા એશિયા બુક ઓફ રેકોર્ડ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એમ અલગ અલગ ત્રણ રેકોર્ડ આગામી રવિવારે નોંધાશે ૧૫ મી ડિસેમ્બરને રવિવારના રોજ ઊંઝા ખાતે ત્રણ રેકોર્ડ રચાશે જેમાં ૫૦૦૦ બહેનો એકસાથે લક્ષચંડી મહાયજ્ઞનો લોગો (સિમ્બોલ) મૂકી મહેંદી મુકાવશે તો ૧૫૦૦૦ થી વધારે બિયારણ ભરેલા ફુગ્ગા એક સામટા આકાશમાં છોડવામાં આવશે આ સાથે ૫૦૦૦ થી વધુ લોકો એકસાથે માં ઉમિયાનો જય જયકાર કરી આસ્થાની અભિવ્યક્તિ પ્રગટ કરશે. લક્ષચંડી મહાયજ્ઞને લઈ ઊંઝા ની ભોજનશાળા ખાતે દરરોજ ૫૦૦ મણ લાડુ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત લક્ષચંડી મહોત્સવ દરમિયાન નગરની સફાઈ માટે ૨૭૦ જેટલા સફાઈ કામદારોની ટિમ તૈયાર કરી ગઈકાલે શુક્રવારે ઉમિયા બાગથી સફાઈના પણ શ્રીગણેશ કરવામાં આવ્યા હતા જેમાં ઊંઝાના હાઇવેથી લઈ ઉમિયા બાગ ચાર રસ્તા તરફના તમામ રસ્તાઓ તથા વનાગલા તરફ અને ઉમિયા મન્દિરની આસપાસના તમામ વિસ્તારોની માઈક્રો સફાઈ હાથ ધરવામાં આવી હતી તેમજ ભવ્ય આયોજનને સફળ બનાવવા કાર્યકરોની મોટી ટિમ ખડે પગે સેવાઓ આપશે. આગામી ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમીયાન યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞને માણવા સમગ્ર દુનિયામાંથી પાટીદારોનો અવિરીત પ્રવાહ ઊંઝા તરફ સમુદ્રની જેમ વહી રહ્યો છે. મહોત્સવને માત્ર ત્રણ દિવસ બાકી હોઈ અનેક ભક્તો અનેરી આસ્થા સાથે માં ઉમિયાના ધામ પધારી રહ્યા છે. કડવા પાટીદાર ઉપરાંત સર્વ સમાજના લોકો દર્શનાર્થે ઉમટી પડવાની શક્યતાને લઈ વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં લાગ્યું છે. તાજેતરમાં વિધાન સભા ગૃહ સમાપ્ત થયા બાદ પાટીદાર ધારાસભ્ય લલિત વસોયા, લલિત કથગરા તેમજ કિરીટ પટેલે સહકુટુંબ પધારી માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.