અમીરગઢ : બનાસકાંઠામાં સામાજિક સમરસતાના માહોલને બગાડતી ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે ત્યારે જિલ્લાના અમીરગઢ તાલુકાના ઝાબા ગામે એક યુવાનને થાંભલા સાથે બાંધી ફટકારવાની ઘટનાને ગંભીરતાથી લઈ અમીરગઢ પોલીસે આ ઘટનાના આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. બનાસકાંઠાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજીત રાજયાણે જીલ્લામાં સામાજિક સમર સતાના માહોલમાં વમળો પેદા કરતા બનાવોને અટકાવવા માટે આવી વિકૃત હરકતો આચરતા તત્વો સામે કડક કાર્યવાહીનો આદેશ કરતાં અમીરગઢ પોલીસે અમીરગઢના ઝાબા ગામે યુવાનને થાંભલા સાથે બાંધી મારપીટ કરવાના ગુન્હામાં સંડોવાયેલા ચાર ઈસમોને ઝડપી લેવા ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અમીરગઢના ઝાબા ગામની આ ચકચારી ઘટનામાં એ જ ગામના ધનાભાઈ કાળાભાઈ વાસીયા, રણછોડભાઈ ચેલાભાઈ વાસીયા, ફટાભાઈ ખીમાભાઈ વાસીયા અને આશાભાઈ વાધાભાઈ વાસીયા નામક શખ્સોએ જુના ઝગડાની ફરિયાદની અદાવતમાં પનાભાઈ વાસીયા નામક યુવકને લોખંડના થાભલા સાથે બાંધી લાકડીઓના ઠુસા મારી ઇજાઓ પહોંચાડવા ઉપરાંત પીડિત યુવકને છોડાવવા વચ્ચે પડેલ તેની માતા ફૂલીબેનને પણ ગડદાપાટુનો માર માર્યા હતો.
આ બનાવ સંદર્ભે પીડિત યુવકના ભાઈએ ચાર ઈસમો સામે અમીરગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આવી હરકતો આચરતા તત્વોને સબક શીખવવા ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૮ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.ષ્ઠ