સતલોક આશ્રમ કેસમાં સંત રામપાલ પર સજાનું એલાન થઇ ગયું છે. તેમણે બે મર્ડર કેસોમાં આજીવન જેલની સજા મળી છે. રામપાલની સાથે તેના 26 અનુયાયીઓને પણ ગુરૂવારના રોજ દોષિત ગણાવ્યા હતા. હિસારના એડિશનલ ડિસ્ટ્રિકટ અને સેશન જજ ડી.આર.ચાલિયાએ હત્યાના બંને કેસ અને અન્ય ગુનામાં રામપાલ અને તેના અનુયાયીઓને દોષિત ગણાવ્યા હતા.
હિસારની સેશન કોર્ટે બે કેસ અને બીજા ગુનામાં સતલોક આશ્રમના સ્વયં-ભૂ બાબા રામપાલ સહિત બીજા 14 દોષિતોને પણ આજીવન કેદની સજા સંભળાવી છે. સાથો સાથ તમામ દોષિતો પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આપને જણાવી દઇએ કે આ હત્યાના કેસની સુનવણી લગભગ ચાર વર્ષ સુધી ચાલી છે. 67 વર્ષના રામપાલ અને તેના અનુયાયી નવેમ્બર, 2014મા ધરપકડ બાદથી જેલમાં બંધ હતા.
રામપાલ અને તેના અનુયાયીઓની વિરૂદ્ધ બરવાલા પોલીસ સ્ટેશનમાં 19 નવેમ્બર, 2014ના રોજ બે કેસ નોંધાયા હતા. પહેલો કેસ દિલ્હીમાં બદરપુરની નજીક મીઠાપુરના શિવપાલની ફરિયાદ પર જ્યારે બીજો કેસ ઉત્તરપ્રદેશમાં લલિતપુર જિલ્લાના સુરેશે નોંધાવ્યો હતો.
બંને એ રામપાલને આશ્રમની અંદર પોતાની પત્નીઓની હત્યાની ફરિયાદ કરી હતી. તેમણે આરોપ મૂકયો હતો કે બંને મહિલાઓને કેદ કરી રાખવામાં આવી અને બાદમાં તેની હત્યા કરી દેવાઇ. હત્યાના આરોપો સિવાય તેમના પર લોકોને ખોટી રીતે બંધક બનાવાનો આરોપ પણ મૂકાયો હતો.