વડગામ તાલુકાના ઈકબાલગઢ ગામમાં મંગળવારે સમી સાંજે પંચાયતના ડે.સરપંચના માથાના ભાગે ગામના જ એક યુવકે ધારીયું ફટકારી સ્થળ ઉપર ઢીમ ઢાળી ફરાર થઈ જતા પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા વીસ વર્ષથી વડગામના ઈકબાલગઢ પંચાયતમાં ડે.સરપંચ તરીકે ફરજ બજાવતા રામાંભાઈ છગનભાઈ રાવત ઉ.વ.આશરે ૪પ મંગળવારે સાંજના સમયે પંચાયતમાં હતા તે દરમિયાન ગામના જ કાનજી ઉર્ફે લાલો સેધાભાઈ રાવળ અચાનક પંચાયતમાં ધારીયા સાથે આવી ડે. સરપંચ રામાભાઈ કઈ સમજે તે પહેલા માથાના ભાગે જારદાર ઘા કરતા ડે.સરપંચ સ્થળ ઉપર ઢળી પડયા હતા. હાજર રહેલા લોકો ડે.સરપંચને તાત્કાલિક સારવાર અર્થે વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા વડગામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જા કે, ડે.સરપંચ રામાભાઈ ઉપર ધારીયાથી હુમલો કેમ કરાયો તે જાણી શકાયું નથી. આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો. વડગામ પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.