ગુરુગ્રામમાં એડિશનલ સેશન જજ શ્રીકાંત શર્માના ઘરમાં ગત બે વર્ષથી સુરક્ષામાં હાજર પોલીસવાળાએ શનિવારે ભરબજારમાં જજની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી. જજની પત્ની અને પુત્રને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બંનેની હાલત નાજુક જણાઈ રહી છે. જજના પરિવારને સિક્યોરિટી ગાર્ડે કેમ ગોળી મારી તેની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પણ, ઘટનાસ્થળથી ભાગી છૂટેલા હેડ કોન્સ્ટેબલ મહિપાલ (32)ને ગુડગાંવ-ફરીદાબાદ માર્ગથી પકડી લેવામાં આવ્યો છે. આ ઘટના બપોરે 3.30ની આસપાસ બની કે જ્યારે સેક્ટર 51ના બજારમાં ઘણાં લોકો હાજર હતા. માતા-પુત્ર દવાઓ ખરીદવા માટે બજાર ગયા હતા અને તેઓ જેવા ગાડીમાંથી ઉતર્યા કે તરત જ સિક્યોરિટી ગાર્ડ મહિપાલે તેઓને ગોળી મારી દીધી. ગોળીનો અવાજ સાંભળતા જ આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
આ સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે કે જેમાં ગોળી માર્યા બાદ મહિપાલ જજના ઘાયલ પુત્રને ગાડીમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ બાદમાં તેને રસ્તા વચ્ચે છોડીને ભાગી જાય છે. આ મુદ્દે ડીસીપીએ કહ્યું કે એડિશનલ સેશન જજના ગનમેને તેમની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી. તે આ બંને વ્યક્તિઓને સરકારી વાહનથી બજાર લઈ ગયો હતો. ત્યારે અચાનક તેણે આ બંનેને ગોળી મારી દીધી. જજની પત્નીને છાતીમાં અને પુત્રને માથામાં ગોળી વાગી છે. પોલિસ કમિશ્નર કે.કે.રાવે કહ્યું કે આરોપીની ઓળખ થઈ ગઈ છે અને ઘટનાનું કારણ શોધવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તે ડિપ્રેશનમાં છે અને તેને કેટલીક માનસિક પરેશાની છે.