જુનાગઢમા વંથલી તાલુકાનાં ટીકરમાં રહેતા વૃદ્ધની કોઇ અજાણ્યાં શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. તેમના ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ માટે જામનગર ખસેડી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ જૂનાગઢનાં વંથલી તાલુકાનાં ટીકરમાં રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા દિનેશભાઇ કેશવભાઇ ઉંસદિડયા (ઉં.વ. ૫૨)નાં પત્ની તથા પરિવારજનો બહારગામ ગયાં હતાં અને ઘરે તેઓ એકલા હતા.દરમ્યાનમાં કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી દિનેશભાઇની બોથડ પદાર્થનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. કોહવાયેલી હાલતમાં લાશ જોવા મળી હતી.
વંથલી પોલીસને જાણ કરતાં તેઓ ટીકર ગામે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી. દિનેશભાઇનાં શરીર પર હથિયાર તથા બોથડ પદાર્થનાં ઘાથી ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા અને લાશ કોહવાઇ ગઇ હોવાથી તેઓની હત્યા બે દિવસ પહેલાં થઇ હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતાં વંથલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.