કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા આજે સૌથી મોટુ ચૂંટણીલક્ષી વચન આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જાહેરાત કરી છે કે, જો ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તો દેશના ર૦ ટકા પરીવારોને રૂ. ૭ર૦૦૦ દર વર્ષે આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આનો ફાયદો પાંચ કરોડ પરીવારો એટલે કે રપ કરોડ લોકોને થશે. રાહુલ ગાંધીએ આ યોજના અંગે માહીતી આપતા જણાવ્યું હતું કે, આ એક પ્રકારની વેતન ગેરંટી સ્કીમ છે. જે હેઠળ તમામ ગરીબ પરીવારોની ન્યુનતમ આવક ૧ર૦૦૦ રૂ. થશે એટલે કે જો કોઇ પરીવારની આવક રૂ.૬૦૦૦ હોય તો કોંગ્રેસની સરકાર બનવા પર તેમાં રૂ. ૬૦૦૦ ઉમેરીને તેની આવક ૧ર૦૦૦ કરી દેવામાં આવશે. રાહુલે કહયું હતું કે, આ વિશ્વભરની સૌથી પહેલી યોજના હશે. જેની અમે તમામ ગણતરી કરી લીધી છે અને સરકાર બનવા પર તે લાગુ કરવામાં આવશે. ન્યુનતમ આવક ગેરંટી સ્કીમ તેનું નામ હશે. રાહુલ ગાંધીએ કહયું હતું કે વડાપ્રધાન મોદી કહે છે કે તેમણે ખેડુતોને પૈસા આપ્યા. પરંતુ હકિકત એ છે કે, તેમણે ખેડુતોને રોજના ૩ રૂ. આપ્યા. તેઓ લોકોને છેતરે છે. તેઓ ખાનગી વિમાનવાળાઓને લાખો-કરોડો રૂપીયા આપે છે જયારે ગરીબોને કશું આપતા નથી. તેમણે કહયું હતું કે પહેલા ૧૪ કરોડ લોકોને ગરીબીથી બહાર કાઢયા છે હવે રપ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢશું. જે કદી દેશમાં થયંુ નથી તે અમે કરી બતાડશું. પીએમની નીતીમાં બે હિન્દુસ્તાન બની ગયા છે અમીર અને ગરીબોનું. પરંતુ અમે આવું નહિ થવા દઇએ. મોદી અમીરોને હજારો-કરોડો આપી શકે તો કોંગ્રેસ ગરીબોને પૈસા આપશે. રાહુલ ગાંધીએ કહયું હતું કે અમે ગરીબી દુર કરવા માંગીએ છીએ. જે માટે અમે મનરેગા લાવ્યા હતા. હવે અમે ન્યુનતમ આવકની ગેરંટી લાવી રહયા છીએ. મનરેગાએ ૧૪ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા. અમે દેશના પાંચ કરોડ પરીવારો અને રપ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢશું. અમે સૌથી ગરીબ લોકોની ઓળખ કરી લીધી છે. દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે અમે ચર્ચા કરી છે. ચિદમ્બરમે આ મામલે કામ કર્યુ છે. આર્થીક રીતે આ સંભવ છે.