ડીસા : દેશ વિદેશમાં જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ બનાસકાંઠાના ડીસા ખાતે અબોલ જીવો માટે અવિરતપણે સેવા યજ્ઞ ચલાવતી રાજપુર પાંજરાપોળની કામગીરીને મુક્તકંઠે બિરદાવી આ જીવદયા સંસ્થાના નિભાવ માટે પાંચ લાખ માતબર દાન આપી દરિયાદીલીની પણ પ્રતીતિ કરાવી છે. હાલ પાટણ જિલ્લાના જુના માંકા ગામે વિશ્વ પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે ડીસા રાજપુર પાંજરાપોળના કામે પાંજરાપોળના ટ્રસ્ટી ભરતભાઈ કોઠારીએ શનિવારે પૂજ્ય રમેશભાઈ ઓઝાની શુભેચ્છા મુલાકાત લીધી હતી જે દરમ્યાન રાજપુર ડીસા પાંજરાપોળની કામગીરીથી પ્રભાવીત થયેલા પૂજ્ય રમેશભાઈ ઓઝાએ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં ડીસા રાજપુર પાંજરાપોળના જીવદયાનાં કાર્ય માટે પાંચ લાખ રૂપિયાની માતબર રકમના દાનનો ચેક ભરતભાઇ કોઠારીને અર્પણ કરી આવી સુંદર જીવદયા કામગીરી કરતા રાજપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓને ઠાકુરજીના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ડીસા રાજપૂર પાંજરાપોળનાં ટ્રસ્ટી ભરતભાઇ કોઠારી સાથે પ્રકાશભાઈ બાગરેચા (કોહિનૂર), પરેશભાઈ શાહ, મયુરભાઈ ચોકસી અને જગદીશભાઈ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા.