યોગાપટ્ટી વિસ્તારમાં એક નવપરણિત મહિલાને રૂ. બે લાખ માટે કેરોસિન છાંટીને જીવતી સળગાવી દેવામાં આવી છે. હોસ્પિટલમાં 11 દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા પછી નવપરણિતાનું મોત થઈ ગયું છે. પોલીસે મૃતકના પિતાના નિવેદનના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરીને ફરિયાદ નોંધી લીધી છે.
મૃતકાના પિતા યોગાપટ્ટી વિસ્તારમાં રહેતા અલી ઈમામ ખાંએ જણાવ્યું કે, 19 વર્ષની દીકરી રોઝીના લગ્ન 3 મહિના પહેલાં જ ઉમર સાથે કરાવવામાં આવ્યા હતા. લગ્નના એક મહિના પછી જ તેના લોભી સસરાએ બિઝનેસ માટે રૂ. 2 લાખની માગ શરૂ કરી દીધી હતી. રોઝીએ પિયરના લોકોને પણ કહ્યું હતું કે, તેને સાસરીવાળા તરફથી દહેજ માટે ખૂબ પરેશાન કરવામાં આવી રહી છે. 12 જુલાઈની રાતે આરોપીઓ તેના રૂમમાં ઘુસીને તેના પર કેરોસીન છાંટીને તેને સળગાવી દીધી હતી.
અલી ઈમામે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં જ તેનો પતિ ઉમર નોકરી શોધવા માટે મુંબઈ જતો રહ્યો હતો. તે દરમિયાન જ રોઝીના સાસુ-સસરાએ અન્ય લોકો સાથે મળીને તેને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિશે તેના પતિ ઉમરને પણ માહિતી આપવામાં આવી હતી. 11 દિવસ સુધી રોડી પીએમસીએચમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી રહી પરંતુ તેનો પતિ ઉમર એક વાર પણ તેને જોવા આવ્યા નહતો.
પરિવારજનોએ રોઝીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેની સ્થિતિ ગંભીર જોઈને તેને પટના ટ્રાન્સફર કરવામાં આવી હતી. પટનામાં 11 દિવસ સુધી રોઝી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી રહી હતી. શનિવારે મોડી સાંજે તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેને પિપરપાતી કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવી હતી.
રોઝીના પિતાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે કે, મૃતકાની સાસુ નજરુલ ખાતૂન, જેઠાણી લાડલી ખાતૂન, જેઠ અબ્દુલાં ખાં અને સસરા કલામ ખાં મુખ્ય આરોપી છે. તેમણે રૂ. બે લાખના દહેજ માટે રોઝીને કેરોસીન છાંટીને સળગાવી દીધી છે. પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ કરીને ફરિયાદ નોંધી લેવામાં આવી છે. આરોપીઓની ધરપકડ માટે તેમની શોધ ચાલી રહી છે.