ભાભર તાલુકા પંથકમાં પાછોતરા વરસાદે કુદરતી મહેર ના બદલે કહેર વર્તાવ્યો છે. નવરાત્રિના બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે આજે પાંચ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા મુશ્કેલીઓ વધી જવા પામી છે. ભાભર શહેરના લાટી બજાર ખાડીયા વિસ્તાર આઝાદ ચોક વાવ રોડ અને નીચાણવાળી સોસાયટી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જવા પામ્યા હતા.વરસાદી પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર લાઇનો પાણી ગાળી ન શકતા મુશ્કેલી સર્જાઇ હતી. ભાભર મામલતદાર ના આદેશથી પાલિકાના વહીવટીતંત્રએ પાણીનો નિકાલ કરાવ્યો હતો. રહિશોએ હાસકારો અનુભવ હતો. જ્યારે વધુ વરસાદને લઈને ખેડૂતોને પડતા ઉપર લાત સમાન એરંડા કપાસ જુવારના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. અને ખેતરમાં કાપણી કરીને રાખેલા બાજરી અને જુવાર પાક પલળી જતાં નુકસાન થવા પામ્યું છે. વરસાદનો કહેર વર્તાતા હવે લીલા દુષ્કાળનાં એંધાણ વર્તાઇ રહ્યા છે ખેડૂતોને નુકસાન આપવા માંગ ઉઠી રહી છે.