ડીસા બનાસકાંઠામાં ચાલુ સાલે નહિવત વરસાદનાં કારણે ખેતી તો ઠીક પણ પીવાના પાણીનાં ફાંફાં પડી ગયા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર ગણાતા દાંતા અને અમીરગઢ વિસ્તારના ૭૦ ગામોમાંથી ૩૫ ગામોમાં પીવાના પાણીનાં ફાંફાં શરૂ થયાં છે. જોકે, અનેક ગામોમાં તો પાણી ભરવા હેડ પંપ પર રીતસર સવારથી જ લાઇન લાગે છે.
બનાસકાંઠાએ ખેતી આધારિત જિલ્લો છે તેમા પણ વરસાદ આધારિત ખેતી થતી હોય છે. જો જીલ્લામાં સારો વરસાદ થાય તો પાણીનાં તળ સારાં રહે છે અને વરસાદ ન આવે તો પાણી તળ ઉંડે જાય છે. ત્યારે ચાલુ સાલે જીલ્લામાં નહિવત વરસાદ થતા દુકાળની સ્થિતી સર્જાઈ છે. રણ વિસ્તારનાં કાંઠે આવેલા ગામો અને આદિવાસી પહાડી વિસ્તારમાં પીવાના પાણીનાં ફાંફાં શરૂ થઈ ગયા છે. અમીરગઢ અને દાંતા પાસેના ગામોના જયાં પીવાના પાણી માટે લોકોને આમતેમ ભટકવું પડે છે.
અમીરગઢના વિરમગામ પાસેના ગામોની વાત છે. જેમાં ગવરા, ટાઢાડી, ભાઈલા, વિરમપુર, ગોઢા, ધનપુરા સહીતનાં ગામોમાં પીવાનાં પાણી માટે ફાંફાં થયાં છે. ગામમાં આવેલા હેડપંપ મોટાભાગે બંધ છે. જ્યારે ગામમા એકાદ પંપમાં સામાન્ય પાણી આવતું હોય છે.જેથી સવારથી જ ગામની મહિલાઓ પાણી માટે પંપ આગળ લાઇન લગાવી દે છે.જો કે બે,ત્રણ કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ પાણી
ભરવાનો નંબર આવે છે. ૩૦૦૦ હજારની વસ્તી ધરાવતાં અમીરગઢના ટાઢોડી ગામમાં માત્ર એકજ પંપ ચાલુ છે. જેમાંથી મહિલાઓ લાઇનસર પાણી ભરી રહી છે. ગામનાં પુર્વ સરપંચ દિનેશભાઈ ગમારએ જણાવ્યું હતુ કે ૧૫ પંપમાંથી માત્ર એક જ પંપ ચાલુ છે. આ એક પંપ ઉપર લોકો અને પશુઓ બધાં નભે છે. જો કે, બોર એ બનાવેલ હોવાં છતા પાણી નથી અને નવા બોર આચાર સહીતાનાં કારણે બની શકે તેમ નથી. મહિલાઓ કહે છે પાણી માટે સવારથી જ લાઇનમાં ઉભા રહીયે છીએ,બાળકોને રાખવા કે પાણી ભરવું અને પાણી માટે લડાઈ ઝગડા પણ કરવા પડે છે.
આ વિસ્તારના લોકો મોટાભાગે પહાડી વિસ્તારમાં રહે છે અને પશુઓ રાખી જીવન ગુજારતા હોય છે.પંરતુ પાણીનાં અભાવનાં કારણે પશુઓ તો ઠીક પોતાને બચવું પણ મુશ્કેલ બન્યુ છે.ત્યારે આ વિસ્તારનાં અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલ ગવરા ગામે જયાં ગામમાં માત્ર એક હેડ પંપ ચાલુ હતો અને જયાં પણ લાઇન જ જોવા મળી હતી.જ્યારે પશુઓ માટે બનાવેલ હવાડા ખાલીખમ જોવા મળ્યા હતા. ગ્રામજનો પાણી માટે રીતસર આજીજી કરવા લાગ્યા હતાં.
અમીરગઢ વિસ્તારને સરકારે દુષ્કાળ ગ્રસ્ત જાહેર કર્યો નથી.પણ આ વિસ્તારની હાલત પણ ખૂબ ગંભીર છે ખાસ કરીને અમીરગઢ અને દાંતા વિસ્તારના ૩૫ ગામો એવા છે જયાં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી થઈ છે.હાલ આ વિસ્તારના કેટલાંક ગામોમાં પશુઓને બચવવા જીવદયા પ્રેમી દ્વારા ઘાસચારો વિતરણ કરવામાં આવો રહ્યો છે. તો ક્યાંક બે, ત્રણ ગામોમાં પાણી નાં ટેન્કર શરૂ કરાયા છે. પણ જવાબદાર સરકાર હજુ સુધી આ વિસ્તારમા ક્યાંક ઘાસ ડેપો કે પાણીની વ્યવસ્થા કરી ન હોવાનું આ વિસ્તારના અગ્રણી અને અમીરગઢ તાલુકા પંચાયતનાં પુર્વ પ્રમુખ શંકરભાઇએ જણાવ્યું હતું.
રખેવાળની ટીમ જ્યારે આદિવાસી વિસ્તારના લોકોની વેદના જાણવા પહોંચ્યું ત્યારે ગામની અંદર રીતસર લોકો પાણી માટે આજીજી કરતા નજરે પડી રહ્યાં છે.ગામની અંદર ક્યાંક હેડપંપ પર લાઇના હતી તો ક્યાંક કુવા આગળ લાઈનો હતી.જોકે કૂવાનું પાણી જે પશુઓ પી ન શકે તેવું પાણી લોકો પીવા લઇ જઇ રહ્યાં હતાં તો પાણીના હવાડા ખાલીખમ જોવા મળ્યા હતાં.જીલ્લાનાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લઇને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરાવે તે જરુરી છે.