બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોમાં ભય સાથે ખેતરમાં વાવેલા પાક માટેની ચિંતા શરૂ થઈ છે.તો બીજી તરફ રાજસ્થાન સરહદ નજીકના જિલ્લામાં ઉપરવાસમાં પણ નહીવત વરસાદ નોંધાતા જિલ્લાના ત્રણ મુખ્ય સિંચાઇ માટે જીવાદોરી ગણાતા દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ ભાસી રહ્યા છે.આ ત્રણ ડેમોના તળિયા દેખાવવામાં લાંબો સમય નથી. ત્યારે વરસાદ ખેંચાતા વર્ષ 2015 અને વર્ષ 2017માં અતિવૃષ્ટિનો માર સહન કરનાર જિલ્લા વાસીઓમાં ભીતિ સેવાઈ રહી છે.
બનાસકાંઠામાં હાલની તાજા સ્થતિમાં 14 તાલુકા મથકોમાં છૂટા છવાયા અમી છાંટણા સિવાય નહીવત વરસાદ છે. ખેડૂતોએ વરસાદી વાતાવરણમાં મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. જોકે ખેડૂતો હવે વરસાદ ખેંચાતા ખૂટતી ધીરજ સાથે આકાશ તરફ મીટ માંડી મ્રુગજળ સમાન ભાષતા મેહુલાની રાહ જોઈ રહ્યા છે.જ્યારે જિલ્લાના ઉપરવાસમાં પણ વરસાદ નથી. જેથી જિલ્લાના મુખ્ય ત્રણ ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. જેમા બનાસનદી પરના દાંતીવાડા ડેમમાં હાલ માત્ર 171.25 મીટર પાણી સંગ્રહિત છે. આ ડેમનું રિજર્વ લેવલ 184.10 મીટર છે.અહીં પાણીની હજુ સુધી કોઈ નવી આવક નોંધાઇ નથી.આવીજ સ્થિતિ સીપુનદી પર બંધાયેલ સીપુડેમની છે. અહીં હાલ 181.17 મીટર પાણી છે. જે ખૂબ ઓછું કહી શકાય. આ ડેમનું રિજર્વ લેવલ 594.38 મીટર છે.અહીં પણ પાણીની આવક જીરો છે. ત્યારે ત્રીજા મુક્તેશ્વર ડેમની પણ સ્થિતિ કંગાળ છે.
હાલ આ ડેમમાં સંગ્રહિત પાણી 194.97 મીટર છે અને ડેમનું રિજર્વ લેવલ 201.65 મીટર છે. આમ જિલ્લાના ત્રણ મુખ્ય જીવાદોરી સમાન ડેમોની હાલત દયનીય સ્થિતિમાં છે. જ્યારે બીજી તરફ ચોમાસુ તેના મધ્યભાગમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક સ્થળોએ સારો વરસાદ વરસ્યો છે. પરંતુ ઉ.ગુ.ના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સામાન્ય વરસાદ રહેતાં હજુ ઉ.ગુ.ની જવાદોરી સમાન તમામ ડેમોમાં પાણીની આવક નહીવત રહેવા પામી છે. તેમજ તળાવો, જળાશયો અને ચેકડેમોમાં પણ હજુ સુધી પાણી ન ભરાતાં જગતનો તાત ચિંતિત થઈ રહ્યો છે.
જિલ્લામાં તળાવો, ચેકડેમોમાં હજુ પાણી ન ભરાતાં સાવ ખાલીખમ છે. ઝરમર વરસાદથી જમીન તો પલળી છે અને કેટલાક પાકને જીવતદાન પણ મળ્યું છે. પરંતુ આ સામાન્ય વરસાદથી ઉ.ગુ.ની જીવાદોરી સમાન બનાસ નદીનો દાંતીવાડા તેમજ મુક્તેશ્વર ડેમ અને સિપુડેમમાં હજુ જોઈએ તેવી પાણીની આવક થઈ નથી. જો આવો જ વરસાદ આગળના બે માસમાં રહેશે તો ઉનાળામાં પાણીની તંગી વર્તાય તો નવાઈ નહી. હાલમાં આબુરોડ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો જ પાણીની આવક થઈ શકે છે. જળાશયો અને ડેમોમાં પાણી સંગ્રહ ન થતાં જમીનની અંદર પણ પાણીના સ્ત્રોત થવા મુશ્કેલ બનશે.જેથી ખેડૂતોની ચિંતા વધી છે.