રાજસ્થાનના કોટામાં જેકે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો સીલસીલો ચાલુ છે. બુધવારે વધુ એક બાળકનું મોત થયું છે. પ્રસૃતિ વિભાગના ઈ-વોર્ડમાં દાખલ ૪ દિવસની એક બાળકીનું મૃત્યુ થયું છે. તેના મોતનું કારણ કડકડતી ઠંડી હોવાનું કહેવાઈ રહ્યું છે. ગત ૩૦-૩૧ ડિસેમ્બરે આ હોસ્પિટલમાં ૯ બાળકોના મૃત્યુ થયા હતા. ડિસેમ્બર મહિનામાં નવજાત બાળકોના મોતનો આંકડો ૧૦૦ સુધી પહોંચી ગયો. ૨૦૧૯માં અહીં ૯૬૩ બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને રાજસ્થાન સરકાર અને પ્રિયંક ગાંધીનું નામ લીધા વગર સવાલ કર્યો. માયવતીએ લખ્યું- જે માતાઓએ તેમના બાળકને ગુમાવ્યા છે, તેને શા માટે કોંગ્રેસ જનરલ સેક્રેટરી હજી સુધી મળ્યા નથી ?શિશુ રોગ વિભાગના એચઓડી ડો. એ એલ બૈરવાએ જણાવ્યું કે ૩૦ ડિસેમ્બરે કોટા જિલ્લાના ખાતૈલી અને બારાં જિલ્લાના ૨ નવજાત બાળકોના મોત થયા હતા. ૩૧ ડિસેમ્બરે સાંગોદ, બારાં, બૂંદી, કોટના વિજ્ઞાન નગર અને ચશ્મના બાવડીના રહેવાસી ૫ નવજાત બાળકોના મોત થયા. આ બાળકો લો બર્થ વેટ, કેટલાક પ્રી-મેચ્યોર ડિલીવરી અને માઈલ્ડ ઈન્ફેક્શનથી પીડિત હતા. રાજ્ય સરકારની તપાસ કમિટીએ નવજાત બાળકોના મોતનું કારણ હોસ્પિટલના ખરાબ વેન્ટિલેટર અને વાર્મરને ગણાવ્યા હતા. સરકારે તેને રીપેર કરવાના આદેશ આપ્યા હતા.ડોક્ટર દરેક મોત પર પોતાનો તર્ક આપી રહ્યાં છે, જોકે હાલ હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકો માટે કડકડતી ઠંડી જીવલેણ સાબિત થઈ રહી છે. બુધવારે પાર્વતી પત્ની દેવપ્રકાશે ૪ દિવસ પહેલા ઓપરેશનથી સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. ૪ દિવસ સુધી બાળકી તેમની સાથે હતી. સવારે ૯ વાગ્યે ડોક્ટરે રાઉન્ડ લીધો, ત્યાં સુધી બાળકી સ્વસ્થ હતી, જોકે ૧૧ વાગે તેનું મોત થયું. બાળકીના દાદા મહાવીરે જણાવ્યું કે અમે અંદર જવાનો પ્રયત્ન કરતા રહ્યાં પરંતુ સિક્યોરિટીએ અમને અંદર જવા દીધા ન હતા. જ્યારે અંદર પહોંચ્યા તો બાળકી મૃત્યુ પામી હતી. ઠંડીના કારણે પણ કદાચ બાળકીનું મોત થયું હશે એમ કહેવામાં આવી રહ્યું છે.જેકે લોનમાં શિશ રોગ વિભાગના એચઓડી ડો. એ એલ બૈરવાએ જણાવ્યું કે અહીં મૃત્યુ પામનાર ૭૦થી ૮૦ ટકા બાળકો નવા જન્મેલા હોય છે. એમાં પણ સૌથી વધુ સંખ્યા એ બાળકોની હોય છે, જે બીજી જગ્યાએથી રીફર થઈને આવે છે. કડકડતી ઠંડીમાં નવજાત બાળકોને બીજી જગ્યાએથી અહીં લાવવા તે ખતરનાક છે.