રાજકોટ : ધોરાજીના પીપરવાડીમાં રહેતાં 34 વર્ષીય પરિણીત યુવાન અનીલ ભીખાભાઈ બાલધાએ ઝેરી દવા પીતા પ્રથમ ધોરાજી અને બાદમાં રાજકોટ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નિપજ્યું છે. આ અંગેની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આ યુવાન પરિણીત હોવા છતાં અન્ય યુવતિ દ્વારા તેને લગ્ન કરવાનું દબાણ કરવામાં આવતું હોવાથી તેણે આ પગલું ભર્યું હતું.
આ અંગે મૃતકની પત્ની ઈલાબેને પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ પોતાના પતિ અનિલ ભીખાભાઈ બાલધાને કૂંભારવાડા વિસ્તારમાં રહેતી મનીષા બાબુ બાલધા હેરાન કરતી હતી. અને તેમની સાથે લગ્ન કરવાનુ દબાણ કરી માનસિક ત્રાસ આપી રહી હતી. જેનાથી કંટાળીને પોતાના પતિએ ઝેરી દવા પીધી હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ફરિયાદને આધારે પોલીસે મનીષા બાલધા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.