ધાનેરા
ધાનેરા શહેરમાં આવેલી સિટીસર્વે કચેરીમાં પગ મુકવો જોખમ સમાન બની ગયો છે.કારણ કે સરકાર દ્વારા જે મકાનને કંડમ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જોખમવાળું ઉપયોગમાંના લઇ શકાય તેવા જર્જરિત મકાનમાં છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત છે અને મકાનની બાજુમાં પોલીસ સ્ટેશન હોવાથી કેચેરી આગળ જ પોલીસ દ્વારા ડિટેઈ કરાયેલા વાહનોનો ખડકલો કરી દેવાયો છે.જેથી અહીં રખડતા પશુઓ પણ બેસી રહે છે. જેથી અહીં આવનારા અરજદારોને સિટીસર્વે કચેરીનું પગથિયું ચડવું મુશ્કેલ બની રહ્યું છે.
ધાનેરામાં વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં પુરમાં શહેરમાં પાણી ફરીવળ્યાં હતા ત્યારે જૂનું બાંધકામ ધરાવતી આ જર્જરિત સિટીસર્વે કચેરીમાં પણ કેડ સમાં પાણી ભરાયા હતા.જેથી જર્જરિત કચેરીના મકાનની છત અને દિવાલના પોપડાઓ ઉખડી જમીન પર પડવા લાગ્યા હતા. જેથી કચેરીના કર્મચારીઓ દ્વારા આ બાબતે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી અને નવું મકાન આપવા રજુઆત કરવામાં આવી હતી છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા રજૂઆતને પગલે આજદિન સુધી કોઈજ નિર્ણય લેવાયો નથી ત્યારે શહેરમાંથી વિવિધ કાર્યો માટે આવતા અરજદારોને કચેરીમાં પગ મુકવો એ જીવના જોખમ સમાન છે ત્યારે તંત્રની આ ઢીલી નીતિથી જો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થાય છે.કારણ કે ગત સપ્તાહમાં જ કચેરીના સમય દરમિયાન આવેલા એક અરજદાર કાળુભાઇ કચેરીમાં ઉભા હતા ત્યારે છત ઉપરથી કોન્ક્રીટનો પોપડો ઉખડી નીચે પટકાયો હતો.જોકે સદનસીબે પોપડો અરજદારના પગના પંજા પર પડ્યો હતો.જેથી પગ પર સામાન્ય ઇજા થઇ હતી. પરંતુ જો આ કોન્ક્રીટનો પોપડો કોઈના માથાં પર પડે તો ગંભીર ઇજાઓ થઈ શકે છે ત્યારે તંત્ર શુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે જે બાદ મકાન બદલવામાં આવશે આ ગંભીર સવાલ અહીં આવતા અરજદારોમાં ચર્ચાઈ રહ્યો છે.