વડગામ : વડગામ તાલુકાના મેમદપુર ગામની સીમમાં આવેલ લક્ષ્મણ ટેકરી પાસેથી વડગામના રીક્ષાચાલક દલિત યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વડગામમાં છેલ્લા એક વર્ષથી રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સુરેશભાઈ પાનાંભાઈ પરમાર (ઉ.વ.આશરે ૩૮) રવિવારે રાત્રે ૮.૩૦ કલાકે ભાડાની વર્ધી લઇ મેમદપુર ગામની સીમમાં આવેલ લક્ષ્મણ ટેકરી પાસે ગયા હતા.જ્યાં ખેતર તરફ જવાના રસ્તે કોઈ અજાણ્યા શખ્સોએ તેમને મોઢા,નાક અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હત્યા કરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.આ અંગેની જાન થતા વડગામ પીએસઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને વડગામ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક સુરેશભાઈ અગાઉ સેન્ટીંગનું કામ કરતા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ રીક્ષા ચલાવતા હતા.કોઈ અજાણ્યા શખ્સોએ તેમની ઠંડા કલેજે હત્યા કરી હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. વધુમાં રવિવારે રાત્રે ૮.૩૦ કલાકે તેમને ફોન કરી રીક્ષા ભાડે મંગાવનારનું છેલ્લું લોકેશન મૃતકના મોબાઈલમાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.