બનાસકાંઠા જિલ્લામાં ઓરડાઓની ઘટને લઇ પ્રાથમિક શિક્ષણ ઉપર વિપરીત અસરો પડી રહી છે. તેને ગંભીરતાથી લઇ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણે મુખ્યમંત્રીને રૂબરૂ મળી ઘટ પૂરી કરવાની માંગ કરી છે.
સરહદી જિલ્લામાં ૨૦૧૫ અને ૨૦૧૭ ના વર્ષમાં અતિવૃષ્ટિના કારણે વ્યાપક નુકશાન થયું હતું. જેમાં ઘણી પ્રાથમિક શાળાઓના ઓરડા પણ ધરાશાઇ થયા હતા. જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની અછત વર્તાય છે. ત્યાં હવે ઓરડાઓની પણ અછત સર્જાઇ છે. જેની સીધી અસર બાળકોના ભણતર ઉપર પડી રહી છે. જેથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી જિલ્લાના પ્રાથમિક શિક્ષણનો ચિતાર રજૂ કરી જિલ્લામાં ૯૭૮ ઓરડા, ૮૦૦ શૌચાલય અને ૯૨ મધ્યાહન ભોજન યોજનાના શેડ બનાવવાની માંગ કરી હતી.
હવે જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી આજથી બે દિવસ જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેઓ પ્રાથમિક શિક્ષણ મુદ્દે વિશેષ પેકેજ જાહેર કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.