કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુજરાતના આરોગ્ય વિભાગને કડક આદેશ કરીને દર્દીઓના અધિકારો અંગેનો ચાર્ટર પ્લાન મોકલી આપ્યો છે. આ પ્લાન લાગુ થયા બાદ હોસ્પિટલના બિલ ચૂકવણીનો વિવાદ થવાના સંજોગોમાં પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવાનો ઇનકાર નહીં કરી શકાય. જો કે આવો આદેશ હોસ્પિટલની ફી સંદર્ભે છે. દરેક ડૉક્ટરોએ અને હોસ્પિટલોએ પોતાના ચાર્જિસ જાહેરમાં લખીને મૂકવા એવો નિયમ છે. તેમ છતાં તેનો અમલ થતો નથી. કારણ કે તેમાં કોઈ સજા કે દંડની જોગવાઈ નથી પણ દર્દી બિલ ન આપે અને દર્દીને રજા આપવામાં ન આવે તો હવે ડૉક્ટર અને હોસ્પિટલોને સજા કરવાની જોગવાઈ પણ થશે.
વધુમાં મૃત્યુ પામેલા દર્દીનું શબ તેના પરિવારજનો કે સગાસંબંધીઓને પણ બિલ ચૂકવણીના વિવાદના મામલે સોંપવાનો ઇનકાર પણ હોસ્પિટલો કરી શકશે નહીં. ચાર્ટર પ્લાન અમલી બન્યા બાદ હોસ્પિટલના બિલના વિવાદમાં દર્દીને રજા આપવાની કે મૃતક દર્દીનું શબ સોંપવાનો ઇનકાર કરનાર હોસ્પિટલોએ ગુનો કર્યો ગણાશે અને તે બદલ તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે.
વધુમાં હોસ્પિટલમાં સારવાર મેળવનાર દર્દીના પરિવારજનની ઇચ્છા વિરુદ્વ હોસ્પિટલ કોઈ ફી વસૂલે કે હોસ્પિટલના બિલની ચૂકવણીના વિવાદમાં પણ મૃતક દર્દીનું શબ હોસ્પિટલમાં રોકી રખાશે નહીં. આરોગ્ય મંત્રાલયના આ ચાર્ટર પ્લાનના અમલીકરણની તમામ રાજ્યોને જવાબદારી સોંપવામાં આવશે. મંત્રાલયના સંયુકત સચિવ સુધીરકુમાર દ્વારા જારી કરાયેલી નોટિસ મુજબ મંત્રાલય ઇચ્છે છે કે આ ચાર્ટરને રાજય સરકારો દ્વારા અમલી બનાવવામાં આવે. આવી ઘટનાઓ ગુજરાતમાં વધુ બની રહી છે. તેથી ગુજરાત સરકારે તેનો અમલ તુરંત કરવો પડે તેમ છે.