મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આધશક્તિ મા અંબેના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સવારની આરતીમાં બેસીને માતાજીના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો.
મિડીયા સાથે મુલાકાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે પ્રજાની સુખ સમૃધ્ધિમાં વધારો થાય અને ગુજરાત વિશ્વકક્ષાએ મોડેલ સ્ટેટ બને તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેવુ સમર્થ નેતૃત્વ દેશને ફરીથી મળે, દેશમાં જંગી બહુમતીથી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિજય થાય અને ભારત શક્તિશાળી, સમૃધ્ધ રાષ્ટ્રા બને તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.
મુખ્યમંત્રીએ ભક્તિભાવપૂર્વક અંબાજી મંદિરના શિખર ઉપર ધજા ચઢાવી હતી. આ પ્રસંગે અંજલિબહેન રૂપાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ, રેન્જ આઇ.જી. ડી.બી.વાઘેલા, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, વહીવટદાર એસ.જે.ચાવડા, અગ્રણીઓ સુરેશભાઇ શુક્લ, બકુલેશભાઇ શુક્લ, સુનિલભાઇ બ્રહ્મભટ્ટ, વિજયભાઇ દેસાઇ સહિત સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.