ઇઢાટામાયનોર નહેરમાં પાણી નહી મળતાં થરાદનાં છ ગામોનાં ખેડૂતો પ્રાંત કચેરીમાં ઉમટ્યા
થરાદ તાલુકામાંથી પસાર થતી ઇઢાટા માયનોર (ડીસ્ટ્રીબ્યુટરી) કેનાલમાં પાણી આવતું નથી. આથી ખેડુતોને પાણી અને ઘાસચારાનો વિકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.આથી ઇઢાટા, ભાચર, લોરવાડા, ઢીમા, માદેવપુર ,પ્રતાપપુરા, અને જમડા ગામના ખેડુતોએ તાલુકા પંચાયતના પુર્વ ડેલીગેટ મોહનભાઇ રાજગોરને રજુઆત કરતાં ઇઢાટાના સરપંચ અને પુર્વ સરપંચ હિમતલાલ દવે સહિત બહોળી સંખ્યામાં ખેડુતો મંગળવારે બપોરે થરાદ પ્રાંત કચેરીમાં દોડી આવ્યા હતા.
જેમણે પ્રાંત અધિકારી એ.કે.કળસરીયાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, બાજુની કેનાલોમાં પાણી પુરતા પ્રમાણમાં વહે છે પરંતુ તેમની જ કેનાલમાં ઓછું વહેતું હોવાના કારણે પુરૂ પડતું નથી અને છેવાડાના ખેડુત સુધી તો પહોંચી જ શકતું નથી.