ડીસા
ડીસાની સરકારી સિવિલ હોસ્પીટલમાં લાંબા સમયથી પ્રસંસનીય સેવા આપતાં સેવાભાવી તબીબ ડો. એમ.એચ.ખાન ની તાજેતરમાં જ અચાનક ઝેરડા ખાતે બદલી કરી દેવાતાં ડીસાના નગરજનો અને સિવિલ હોસ્પીટલમાં સારવાર લેવા આવતા દર્દીઓમાં ભારે રોષ ઉઠ્યો હતો.ડો.ખાનની બદલીના વિરોધમાં સિવિલના દર્દીઓ આંદોલન પર ઉતરી આવ્યા હતા અને એક દર્દીએ આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી દીધી હતી. આરોગ્ય વિભાગે ડીસા ખાતેની સિવિલ હોસ્પીટલમાંથી ડો.એમ.એચ.ખાનને ઝેરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ્યારે ઝેરડાથી ડો.ગોસ્વામીને ડીસાની સિવિલમાં મૂક્યા હતા. જોકે ડો.એમ.એચ.ખાનની બદલીનો આકરો વિરોધ થયો હતો ત્યારે આ નિર્ણયને પગલે જનતામાં ઉઠેલા રોષને પગલે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી અને ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડયાએ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં રજૂઆત કરતાં આરોગ્ય વિભાગે છેવટે બંને તબીબોની અરસપરસ બદલીના આદેશો રદ કરી દઈ ડો.એમ.એચ.ખાનને ફરી ડીસાની સરકારી હોસ્પીટલમાં ફરજ પર મૂકવાનો નિર્ણય લીધો છે.ડો.એમ.એચ.ખાનની ફરી ડીસાની સિવિલ હોસ્પિટલમાં બદલી કરાતાં ડીસાના નગરજનો ઉપરાંત સિવિલ હોસ્પીટલમાં સારવાર લેવા આવતા દર્દીઓમાં પણ ખુશીની લાગણી ફેલાઈ છે અને આ તબીબની બદલીનો આદેશ પરત ખેંચવાના નિર્ણયને પણ વ્યાપક આવકાર સાંપડ્યો છે.